મોદી સહિત અનેક નેતાએ ઈદની શુભકામના આપી

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કાૅંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશવાસીઓને ઈદ-ઉલ-અજહાની શુભકામનાઓ આપી છે. દેશના નેતાઓએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને તહેવાર ઉજવવાની અપીલ કરી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા કરવામાં આવેલા ટ્વીટ અનુસાર રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, તમામ દેશવાસીઓને ઈદ મુબારક.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, ઈદ-ઉલ-ઝુહા પ્રેમ, ત્યાગ અને બલિદાનની ભાવના પ્રત્યે આદર વ્યક્ત કરીને અને સમાવેશી સમાજમાં એકતા અને ભાઈચારા માટે મળીને કાર્ય કરવાનો તહેવાર છે. આવો, આપણે કોવિડ-૧૯થી બચવાના ઉપાય અપનાવતા સમાજના દરેક વર્ગની ખુશહાલી માટે કામ કરવાનો સંકલ્પ લઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. વડાપ્રધાને લખ્યું કે, ઈદ મુબારક! ઈદ-ઉલ-અજહાની હાર્દિક શુભકામનાઓ. આ દિવસ સામૂહિક સહાનુભૂતિ, સદભાવ અને સેવામાં સમાવેશની ભાવનાને આગળ વધારશે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખતા આજે હું ઈદ-ઉલ-અજહાના પ્રસંગે પોતાના ઘરે જ નમાઝ અદા કરી અને દેશના લોકો અને પૂરી દુનિયાની માનવતાના સારા સ્વાસ્થ્ય અને સલામતની દુઆ કરી.
બીજી તરફ, કાૅંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ બકરી ઈદની શુભકામનાઓ આપી. તેમણે લખ્યું કે, આપ સૌને ઈદ-ઉલ-અજહા મુબારક હો. તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત અને મુખ્યમંત્રી સ્ટાલિને મંગળવારે ઈદ-ઉલ-અજહાની પૂર્વ સંધ્યા પર શુભકામનાઓ આપી. ઈદ-ઉલ-અજહાને બકરી ઈદ પણ કહેવામાં આવે છે.