મોરબીના દલવાડી સર્કલ પાસે ધોળે દિવસે આંગડિયા પેઢીનો માલિક લૂંટાયો
મોરબી, મોરબીમાં વહેલી સવારે સાડાસાત વાગ્યાના અરસામાં વીપી આંગડિયા પેઢીનો માલિક દલવાડી સર્કલ પાસે ખાનગી ટ્રાવેલ્સમાં આવેલું પોતાનાં નાણાંનું પાર્સલ લેવા પહોંચ્યા હતા.
જ્યાં પાર્સલ ઉતારી તેઓ પોતાની કાર સુધી પહોંચે એ પહેલાં જ કારમાં આવેલા ચાર બુકાનીધારી લૂંટારાએ હુમલો કરી રૂ. 1.20 કરોડની લૂંટ ચલાવતા સનસનાટી મચી જવા પામી છે.
આ ચકચારી લૂંટની ઘટનાને લઈ મોરબી પોલીસ દ્વારા ચોતરફ સઘન નાકાબંધી કરી હાલ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
આ ચકચારીભર્યા લૂંટના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, મોરબીની વીપી આંગડિયા પેઢીના સંચાલક મનીષ પટેલ આજે સવારે સાડાસાત વાગ્યાના સુમારે રાજકોટ તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી પોતાનું નાણાંનું પાર્સલ લેવા દલવાડી સર્કલ પાસે પહોંચ્યા હતા.
તેઓ બસમાંથી રૂ. એક કરોડ વીસ લાખ રૂપિયાની રકમનું પાર્સલ લઈને જતા હતા એ વેળાએ જ નંબર પ્લેટ વગરની કારમાં ધસી આવેલા ચાર બુકાનીધારી શખસ તેમના પર હુમલો કરી આ પાર્સલની લૂંટ ચલાવી રાજકોટ તરફ નાસી છૂટ્યા હતા.