મ્યુનિ.કોર્પોરેટરોના નામ-નંબર મોબાઈલમાં “સેવ” કરવા કમીશ્નરનું ફરમાન
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં “અધિકારી રાજ” ચાલી રહ્યું છે તેમજ ચૂંટાયેલી પાંચના ફોન કે ફરીયાદ અધિકારીઓ સાંભળતા નથી તેવો તે મતલબના આક્ષેપ અવારનવાર થતા રહ્યા છે. શનિવારે નવનિયુક્તિ મ્યુનિ.કમિશ્નરે શનિવારે આ મામલે અધિકારીઓને આડે હાથે લીધા હતા તથા ચૂંટાયેલી પાંખનું માન-સન્માન જાળવવા ફરમાન કર્યું હતું. જાેકે, મ્યુનિ.કમીશ્નરને આ પ્રકારનું ફરમાન ગાંધીનગરથી કરવામાં આવ્યું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
મ્યુનિ.કોર્પાેરેશનના અધિકારીઓ ફોન રીસીવ કરતા નથી તેમજ બે-ત્રણ મહિના સુધી ફરીયાદ કરવા છતાં તેનો નિકાલ થતો નથી આ પ્રકારની ફરીયાદો મ્યુનિ.કાઉન્સીલરો સતત કરતા રહ્યા છે. મ્યુનિ.કોર્પાેરેશનની માસિક સામાન્ય સભા તથા સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં પણ અધિકારીઓની મનમાની મુદ્દે ફરીયાદો થતી રહી છે. મ્યુનિ.સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટે ફોન રીસીવ ન કરતા અધિકારીઓનો ૦૬ મહિના અગાઉ ઉધડો પણ લીધો હતો.
તેમ છતાં કેટલાક અધિકારીઓમાં લેશમાત્ર સુધારો આવ્યો નહતો. તેમજ પૂર્વ મ્યુનિ.કમિશ્નરે પણ આ મામલે આંખ આડા કાન કર્યા હતા. પૂર્વ મ્યુનિ.કમીશનર વિજય નહેરાએ પણ કોર્પાેરેટરોના ફોન નંબર બ્લોક અથવા ડીલીટ કર્યા હોવાની પણ ફરીયાદો જે તે સમયે થઈ હતી.
આ બાબતનું વધુ પુનરાવર્તન ન થાય તે માટે નવનિયુક્ત મ્યુનિ.કમીશનરને ગાંધીનગરથી ખાસ આદેશ કરવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યા મુજબ બે દિવસ અગાઉ પ્રભારી મંત્રીએ મ્યુનિ.કમિશનર લોચન શહેરાને પણ ગાંધીનગર બોલાવી ખાસ મીટીંગ કરી હતી. સદર બેઠકમાં પ્રભારી મંત્રીએ સાંસદ, ધારાસભ્યો તથા કોર્પાેરેટરોના માન-સન્માન જળવાય અને તેમની ફરીયાદોનો ઝડપથી નિકાલ કરવામાં આવે તેનું ધ્યાન રાખવા નવનિયુક્ત કમીશનરને તાકીદ કરી છે.
ગાંધીનગરના આદેશ બાદ મ્યુનિ.કમિશ્નરે પણ શનિવારે આ મામલે ડે.મ્યુનિ.કમીશ્નરો તેમજ એચ.ઓ.ડી.કક્ષાના અધિકારીઓને ચૂંટાયેલી પાંખના ફોન રીસીવ કરવા તેમજ તેમના કામ ઝડપથી પૂર્ણ કવા આદેશ કર્યા હતા.
મ્યુનિ.કમીશનરે તમામ ૧૯૨ કોર્પાેરેટરો, ૧૬ ધારાસભ્યો અને બે સાંસદોના સૂચના આપી હતી તેમજ ચૂંટાયેલી પાંખની કોઈપણ ફરિયાદ હોય તો તેની તરફ અંગત ધ્યાન આપવા પણ તાકીદ કરી હતી. તદુપરાંત જે વિસ્તારોમાં મનપાના કાર્યક્રમનું આયોજન થાય તે વિસ્તારના ધારાસભ્ય અને કોર્પાેરેટરોને કાર્યક્રમમાં આમંત્રણ આપવા પર ભાર મૂક્યો હતો.
મ્યુનિ.કમીશ્નરના અધ્યક્ષસ્થાને શનિવારે મળેલી વીડીયો કોન્ફરન્સનો મુખ્ય મુદ્દો કોરોના રહ્યો હતો. મ્યુનિ.કમીશનરે તમામ ડે.મ્યુનિ.કમિશ્નરો અને આરોગ્ય અધિકારીઓ પાસે કોરોના સામે તંત્રની તૈયારી અંગે માહિતી લીધી હતી. તેમજ ત્રીજી જાન્યુઆરીથી શરૂ થનાર વેક્સીન મેગા ડ્રાઈવને સફળ બનાવવા તમામ ડે.મ્યુનિ.કમિશ્નરો સાથે વન ટુ વન ચર્ચા કરી હતી. કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં લઈને સંજીવની રથ અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવા સૂચના આપી હતી.
સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક મામલે શનિવાર સાંજથી કાર્યવાહી કરવા પણ પરવાનગી આપી હતી. આઠ જાન્યુઆરીથી શરૂ થનાર ફ્લાવર શોમાં પણ કોરોના માટે લેવામાં આવનાર સાવચેતીના પગલાં અંગે માહિતી મેળવી હતી. તથા ફ્લાવર શોમાં ફરજ બજાવનાર તમામ કર્મચારીઓના ૦૬ જાન્યુઆરી અને ૧૩ જાન્યુઆરીએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા સૂચના આપી હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.