યુક્રેનથી પરત ફરેલા તેલંગાણાના વિદ્યાર્થીઓના અભ્યાસનો ખર્ચ સરકાર ભોગવશે
હૈદરાબાદ, યુક્રેન પર રશિયાના હુમલા બાદ ત્યાં ભણતા ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ છોડીને ભારત પરત ફરવું પડ્યું છે. આવી સ્થિતિમાં ૨૨ હજારથી વધુ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે તેમના દેશમાં પાછા ફરવામાં સફળ રહ્યા છે.
આ વિદ્યાર્થીઓમાં તેલંગાણાના વિદ્યાર્થીઓ પણ હતા જેમને પાછા આવવું પડ્યું હતું. આવી સ્થિતિમાં હવે તેલંગાણાની કેસીઆર સરકારે યુક્રેનથી પરત આવેલા તેમના રાજ્યના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે. કેસીઆર સરકારની જાહેરાત અનુસાર, તેલંગાણાના જે વિદ્યાર્થીઓ યુક્રેનમાં મેડિસિનનો અભ્યાસ કરવા ગયા હતા, હવે તેમના અભ્યાસનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે.
તેલંગાણા સરકારના મંત્રી અને સીએમ કેસીઆરના પુત્ર કેટી રામારાવ (કેટીઆર) દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. મંગળવારે એસેમ્બલીમાં જાહેરાત કરતા કેટીઆરે માહિતી આપી હતી કે રાજ્યના ૭૪૦ વિદ્યાર્થીઓ યુક્રેનમાં તબીબી અભ્યાસ કરી રહ્યા હતા અને હવે તેઓ યુદ્ધગ્રસ્ત દેશમાંથી પાછા ફર્યા છે. રાવે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, અમે કેન્દ્રને પત્ર લખીશું કે અમે તેમને સમર્થન આપીશું.
યુક્રેનથી પરત ફરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓના મુદ્દે કેટીઆર શરૂઆતથી જ ખૂબ સક્રિય છે. તેમણે ગયા મહિને કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી કે ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનથી વિશેષ ફ્લાઇટ્સ દ્વારા પરત મોકલવામાં આવે, જ્યારે તેલંગાણા સરકાર તેમના રાજ્યના બાળકોનો ખર્ચ ઉઠાવશે.
જાેકે બાદમાં ભારત સરકાર વતી ‘ઓપરેશન ગંગા’ હાથ ધરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે તાજેતરમાં યુક્રેનમાંથી ૨૨ હજારથી વધુ ભારતીયોને બહાર કાઢ્યા છે. તેમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા અને ત્યાં મેડિસિનનો અભ્યાસ કરવા ગયા હતા, કારણ કે તે ભારત કરતાં ત્યાં સસ્તુ છે.HS