યુપીમાં બૂલડોઝરની કાર્યવાહી પર રોકનો સુપ્રીમનો ઈનકાર
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે. આજ રોજ કોર્ટે જણાવ્યું હતું કે, બુલડોઝરની કાર્યવાહી પર રોક ન લગાવી શકાય. આ સાથે જ કોર્ટે યુપી સરકારને ૩ દિવસની અંદર જવાબ આપવા માટે કહ્યું છે. કોર્ટના કહેવા પ્રમાણે તોડફોડની તમામ કાર્યવાહી કાયદામાં રહીને થવી જાેઈએ. હવે આગામી મંગળવારના રોજ આ કેસની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પ્રયાગરાજ ખાતે થયેલી બુલડોઝર દ્વારા તોડફોડની કાર્યવાહીના વિરોધમાં જમીયત ઉલેમા એ હિંદે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે યુપી સરકારને જણાવ્યું કે, તોડફોડની કોઈ પણ કાર્યવાહી કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત થવી જાેઈએ. કોર્ટે જણાવ્યું કે, એવો પણ રિપોર્ટ છે કે આ બદલાની કાર્યવાહી છે. હવે તે કેટલો સાચો છે તે અમને ખબર નથી. આ રિપોર્ટ સાચો પણ હોઈ શકે અને ખોટો પણ. જાે આ પ્રકારના વિધ્વંસ કરવામાં આવે તો પણ કમસેકમ તે કાયદાકીય પ્રક્રિયા અનુસાર થાય તે જરૂરી છે.
કોર્ટની કાયદાની મર્યાદામાં તોડફોડ અંગેની ટિપ્પણી અંગે યોગી સરકારના વકીલ તુષાર મેહતાએ કહ્યું હતું કે, શું કોર્ટ પ્રક્રિયાના પાલન માટેના નિર્દેશ બહાર પાડી શકે. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અમે નોટિસ બહાર પાડી રહ્યા છીએ. તમે ૩ દિવસની અંદર જવાબ દાખલ કરો. તમે સુનિશ્ચિત કરો કે, આ દરમિયાન કશું અઘટિત ન બને.SS2KP