રાજ્યના ૧૨ જળાશય છલકાયા તો ૧૩માં ૯૦થી ૯૯ ટકા પાણીનો સંગ્રહ
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ બન્યો છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટÙમાં મેઘરાજા અવિરત વરસી રહ્યાં છે. ખાસ કરીને ચારેક દિવસથી સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા હોય તે રીતે વરસાદ પડી રહ્યો છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટમાં અતિભારે વરસાદ પડ્યો છે.
સતત મેઘાવી મહેરના કારણે સૌરાષ્ટÙના જળાશયોમાં નવા નીર આવ્યા છે. હજુ ચોમાસું બેઠ્યાંને ૨૦ દિવસ જ થયાં છે ત્યાં સૌરાષ્ટ્રના ૩૬ ડેમમાં ભારે પાણીની આવક જોવા મળી છે. તેમાંથી પણ ૧૨ ડેમ ૧૦૦ ટકા, ૧૩ ડેમ ૯૦ ટકા અને ૧૧ ડેમ ૮૦થી ૯૦ ટકા સુધી ભરાયા છે. જળ સંપતિ વિભાગની વેબસાઈટમાં રજૂ કરવામાં આવતી દૈનિક જળાશયોના લેવલની યાદીમાં ૩૬ ડેમમાંથી ૨૫ ડેમમાં પાણીનું લેવલ ૯૦ ટકથી વધુ હોવાથી તેને હાઈએલર્ટ જાહેર કરાયા છે. જ્યારે ૧૧ ડેમને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
એક તરફ સૌરાષ્ટ્રમાં સતત પડી રહેલા અતિભારે વરસાદના કારણે અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ છે. નદીઓ ગાંડીતુર બની છે. તો બીજી તરફ જળાશયોમાં પાણીની આવક વધવાથી ખેડૂતો અને સૌરાષ્ટ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં પાણીની તંગી જોવા મળતી હોય છે. પરંતુ છેલ્લી બે સિઝનથી ચોમાસું સારુ જઇ રહ્યું છે અને આ વખતે તો શરૂઆતમાં જ જળાશયોમાં ૮૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.
ગુજરાતમાં આગામી ૩ દિવસ માટે વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદીની આગાહી કરવામાં આવી છે. ૭ જુલાઈથી ૯ જુલાઈ સુધી અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. ૧૧ જુલાઈ સુધી વરસાદની આગાહી છે પણ ૩ દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેશે.
રાજકોટ, દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે અમરેલી-બોટાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડશે. દ્વારકા, કચ્છ અને જામનગરમાં અતિભારે વરસાદ થશે. ગુજરાતમાં આજે એટલે કે, ૭ જુલાઈ, ૮ જુલાઈ અને ૯ જુલાઇ સુધી ધોધમાર વરસાદ થશે જેમાં ૯મી જુલાઈથી સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. આગામી ૫ દિવસ વરસાદ થશે પણ ૩ દિવસ તોફાની વરસાદ થશે
માછીમારો માટે આગામી ૩ દિવસ હવામાન વિભાગ દ્વારા વોર્નિંગ આપી દેવામાં આવી છે. ૩ દિવસ તેમને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. અમદાવાદમાં તોફાની પવન અને વિજળીની ગાજેવીજ સાથે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.