રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધતા ગુજરાત સરકાર ચિંતિત બની છે
ગાંધીનગર, રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધતા ગુજરાત સરકાર ચિંતિત બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે તાબડતોડ સમીક્ષા બેઠક કરી છે. જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી, આરોગ્ય અધિક મુખ્ય સચિવ અને ગૃહ અધિક મુખ્ય સચિવ હાજર રહ્યા હતા.
રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનની પ્રવર્તમાન સ્થિતિ વિશે મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા રોજના ૭૦ હજાર જેટલું ટેસ્ટિંગ કરવામાં આવે છે. તેમણે ભારત સરકારની ગાઈડ લાઇન્સ મુજબ વિદેશથી આવનારા પ્રવાસીઓના ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટેની વ્યવસ્થા આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે મળીને કરવા જણાવ્યું છે.
આ બેઠકમાં જણાવાયું કે રાજ્યમાં બે ડોઝની ૮૫ ટકા અને એક ડોઝમાં ૯૫ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.રાજ્યમાં દૈનિક સ્ટેસ્ટિંગની માત્રા વધારવામાં આવે. તેમજ વિદેશથી આવતા પ્રવાસીઓના ટેસ્ટિંગ કરાય તેના ઉપર પણ ભાર મુકવામાં આવ્યો છે સાથે જ કોન્ટેક્ટ ટ્રેસિંગ માટેની વ્યવસ્થા અંગે પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે.
એક જ દિવસમાં રાજ્યમાં ૯ ઓમિક્રોનના કેસ નોંધાયા છે, જેના કારણે સરકારમાં ફફડાટ જાેવા મળ્યો છે. બુધવારે અમદાવાદ શહેરમાં સૌથી વધુ પાંચ કેસ જ્યારે મહેસાણા અને આણંદમાં ૨-૨ કેસ મળ્યા હતા.
હવે ગુજરાતના ઓમિક્રોનના કુલ કેસની વાત કરીએ તો અમદાવાદમાં ૭, વડોદરામાં ૩, જામનગરમાં ૩, સુરતમાં ૨, ગાંધીનગરમાં ૧, મહેસાણામાં ૩, આણંદમાં ૩ તથા રાજકોટમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિયન્ટનો ૧ કેસ નોંધાઈ ચૂક્યો છે. આમ કુલ ૨૩ જેટલો ઓમિક્રોનના કેસ ગુજરાતમાં અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં ઓમિક્રોનનો કહેર વરસી રહ્યો છે, દેશમાં ૧૭ રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ ૨૮૭ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં ૬૫, દિલ્હીમાં ૫૭, તમિલનાડુમાં ૩૪, કેરળ અને તેલંગાણામાં ૨૪-૨૪, ગુજરાતમાં ૨૩, રાજસ્થાનમાં ૨૨, કર્ણાટકમાં ૧૯, હરિયાણામાં ૪, જમ્મુ-કાશ્મીર અને પશ્ચિમ બંગાળમાં ૩-૩, ઓડિશા, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ ૨-૨, ચંદિગઢ, લદ્દાખ અને ઉતરાખંડ ૧-૧ કેસ નોંધાયા છે.HS