રાજ્યમાં કોરોના કેસ વધતા લીંબુના ભાવમાં ભડકો
માર્કેટીંગ યાર્ડમાં લીંબુની આવકમાં ઘટાડો નોંધાયો -ઉનાળાને લઈ દિવસેને દિવસે લીંબુની માંગ વધી રહી છે
જુનાગઢ, ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને લોકો ગરમીથી રાહત મેળવવા વિટામીન સી થી ભરપુર એવા લીંબુનો ઉપયોગ કરે છે. લીંબુ શરબત ઉપરાંત હાલમાં શેરડીના રસમાં પણ લીંબુનો સારો એવો ઉપયોગ થાય છે. લોકો રસોઈમાં લીંબુનો ઉપયોગ કરતાં હોય છે પરતું હાલ ઉનાળાને લઈને શરબતમાં લીંબુનો ઉપયોગ વધી જાય છે.
ઉનાળો આવતા જ લીંબુનો વપરાશ તમામ પરિવારોમાં વધી જતો હોય છે લોકો ડિહાઇડ્રેશનનો ભોગ ન બને તેના માટે લીંબુનો શરબત પીતા હોય છે.
જૂનાગઢ શાકભાજી માર્કેટીંગ યાર્ડમાં લીંબુની આવકમાં ઘટાડો નોંધાયો છે અને ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે. ઉનાળાને લઈને દિવસેને દિવસે લીંબુની બજારમાં માંગ વધી રહી છે અને બીજી તરફ માર્કેટમાં લીંબુની આવકમાં ઘટાડો જાેવા મળ્યો છે. તેની અસર ભાવ પર જાેવા મળી રહી છે.
હાલ યાર્ડમાં લીંબુનો હોલસેલ ભાવ ૧૪૦૦ રૂપીયા પ્રતિ મણનો છે. આમ હોલસેલમાં કિલોનો ભાવ ૭૦ રૂપીયા જેવો થાય છે, લીંબુની માંગમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે અને આવકમાં વધારો નથી તેથી આગામી દિવસોમાં હજુ પણ લીંબું મોંઘા થવાની શક્યાતા છે અને ૧૦૦ થી ૧૨૦ રૂપીયા પ્રતિ કિલોના ભાવે લીંબુ વેંચાય તો નવાઈ નહીં. છેલ્લા ૧૫ દિવસથી શાકભાજીના ભાવમાં ક્રમશઃ વધારો જાેવા મળી રહ્યો છે. મરચાં પણ ૧૨૦ રૂપિયા પ્રતિકિલોના ભાવે છૂટક બજારમાં વેચાઇ રહ્યાં છે.