રાજ્યમાં ભારે વરસાદથી ૧૬૯થી વધુ ગામડાઓમાં અંધારપટ
રાજકોટ જિલ્લામાં પણ ભારે નુક્શાનઃ સૌરાષ્ટ્ર પંથક પાણી પાણી
ગાંધીનગર, ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, સૌરાષ્ટ્ર પંથક તો પાણી પાણી થઈ ગયો છે. રાજકોટમાં ગઈકાલ મધરાતથી આજે મોડીસાંજ સુધી લગાતાર અનરાધાર મેઘરાજાની કૃપા વરસતી રહી હતી. ગાજવીજ સાથે સુપડાધારે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
પરિણામે વરસતા વરસાદમાં વીજતંત્રની ટીમો વીજપુરવટો પુર્વવત કરવા માટે સતત દોડતી રહી હતી. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે ૬૧૫ ફિડર ટ્રીપ થઈ જતાં અનેક વિસ્તારોમાં વીજળી વેરણ થઈ હતી. રાજકોટમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના કન્ટ્રોલરૂમના જણાવ્યા મજુબ ભારે વરસાદને લીધે સૌરાષ્ટ્રમાં ૪૧૫ સ્થળે વીજપુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદો મળી હતી.
એક સમયે તો ગઈકાલે રાત્રિના ૨ વાગ્યે અડધા રાજકોટમાં ધડાકા સાથે વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. રાજકોટના સીમાડાનાં વિસ્તારોમાં પાણી ભરાતા વીજ તંત્રના લાઈનમેન માટે વીજ લાઈનો સુધી પહોંચવાનું મુશ્કેલ બની ગયું હતું. ચારે બાજુ નાળા છલકાતા જીવના જાેખમે લાઈનમેનો વીજથાંભલા ઉપર ચડયા હતાં
વીજફોલ્ટ શોધીને રીપેર કરવામાં રાત્રિનો વરસાદ વેરણ રૂપ બન્યો હતો. ભારે વરસાદને લીધે સૌરાષ્ટ્રનાં ૧૬૯ ગામોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. જેમાં ભાવનગરનાં ૭૩ બોટાદનાં ૨૪ અને સુરેન્દ્રનગરનાં ૫૩ ગામોમાં અંધારપટની સ્થિતિ જાેવા મળી હતી. જયારે જામનગર જિલ્લાના ૧૦૭૨ રાજકોટ ગ્રામ્યમાં ૬૨૦ પોરબંદરના ૯૩ જુનાગઢનાં ૬૫ સહિત કુલ ૧૯૯૨ વીજપોલ ડેમેજ થયા હતાં.