રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૧ જુલાઇ થી ૧૫ જુલાઇ ૨૦૨૨ દરમિયાન સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા કક્ષાએ ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા નિકળશે
ગાંધીનગર, પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં મહત્વના ર્નિણયો લેવામાં આવ્યા છે. પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજાજન સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૧ જુલાઇ થી ૧૫ જુલાઇ ૨૦૨૨ દરમિયાન સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા કક્ષાએ ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’-૨૦ વર્ષનો વિશ્વાસ -૨૦ વર્ષનો વિકાસનું આયોજન કરવામાં આવ્યુ છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યભરમાં યોજાનારી આ વંદે ગુજરાત વિકાસ યાત્રામાં ૮૦ જેટલા રથ તૈયાર કરાયા છે. આ તમામ રથ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ રોજના ૧૦ ગામોમાં પરિભ્રમણ કરશે. દરેક જિલ્લાઓમાં ૧૦ ગામોનું કલસ્ટર બનાવીને રૂટ પ્લાન જિલ્લા કક્ષાએથી કરવામાં આવશે. ૧૫ દિવસ યોજાનારી આ યાત્રામાં ઝોન મુજબ વિવિધ થીમ આધારિત કાર્યક્રમો નિયત કરવામાં આવ્યા છે.
આ યાત્રા દરમિયાન વિવિધ વિકાસકામોના ખાતમુહુર્ત, લોકાર્પણ તથા વિવિધ યોજનાકીય લાભોનું લાભાર્થીઓને વિતરણ કરાશે. જિલ્લા કક્ષાએ આ યાત્રાનું નેતૃત્વ મંત્રીમંડળના સભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રી સહિત પદાધિકારીઓ કરશે.
જ્યારે સ્થાનિક કક્ષાએ સમગ્ર યાત્રાનુ સંકલન જિલ્લા કલેકટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.પ્રવકતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યશ્રીઓ તેમના મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામો હાથ ધરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. બે કરોડની ગ્રાંટ ફાળવવાનો ર્નિણય કરાયો છે તે માટે માર્ગ મકાન વિભાગ દ્વારા રૂ. ૮૬ કરોડની રકમ પણ ફાળવી દેવામાં આવી છે.hs3kp