રામનવમી હિંસાઃ UP અને MP બાદ હવે ગુજરાતમાં પણ ચાલ્યું બુલડોઝર
આણંદ, ગત રવિવારે રામનવમીના તહેવાર વખતે આણંદ જિલ્લાના સંવેદનશીલ ગણાતા ખંભાત તાલુકામાં કોમી હિંસા ભડકી ઉઠી હતી. ત્યારબાદ આ મામલે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને તોફાનીઓના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે. ગૃહ વિભાગે ખંભાતના શકરપુર વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે.
કાર્યવાહી દરમિયાન દરગાહની સામે આવેલી તમામ દુકાનો ધ્વસ્ત કરી દેવામાં આવી છે. પોલીસના કહેવા પ્રમાણે આ રમખાણો સંપૂર્ણપણે યોજનાબદ્ધ હતા. આ ઘટનાના મુખ્ય આરોપી મૌલવીએ દરગાહમાં બેસીને જ તેની યોજના ઘડી હતી.
જે વિસ્તારોમાં કોમી રમખાણો થયા હતા ત્યાં ગેરકાયદેસર લારી-કેબિનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ તોફાની તત્વોના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે. ટ્રેક્ટર અને બુલડોઝર વડે ASP અને પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં આ પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા છે.
ખંભાતમાં રામનવમીના પ્રસંગે શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ શહેરના વિભિન્ન વિસ્તારોમાં 2 દુકાન, 2 લારી અને એક મકાનમાં આગચંપી, તોડફોડ વગેરેની ઘટનાઓ બનતાં ભારે તંગદિલી વ્યાપી હતી. ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે ટીઅરગેસના શેલ છોડવા પડ્યા હતા અને સમગ્ર ઘટનામાં પોલીસકર્મીઓ સહિત 15થી વધારે લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત એક વ્યક્તિનું મોત પણ થયું હતું.