રૂપિયાની લેતીદેતીમાં બિલ્ડરનું અપહરણ કરનાર પાંચને ઝડપી લેવાયા
આરોપીઓએ ભેગા મળીને બિલ્ડર પ્રકાશ પ્રજાપતિનું અપહરણ કરી લીંબડીના રળોલ ગામમાં ગોંધી રાખ્યો હતો
અમદાવાદ, અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક બિલ્ડરનું અપહરણ કરી ખંડણી માંગવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે પાંચ આરોપીની ધરપકડ કરી છે.
બિલ્ડરનું અપહરણ કરી ૧ કરોડની ખંડણી માંગી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નરેન્દ્ર સિંહ રાઠોડ, વાઘાભાઈ ભરવાડ , રઘુભાઈ ભરવાડ, અબ્દુલ ટી બલિયા, યુનુસ વારૈયા નામના પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.આરોપીઓએ ભેગા મળીને ચાંદખેડામાં રહેતા બિલ્ડર પ્રકાશ પ્રજાપતિનું અપહરણ કરી લીંબડી તાલુકાના રળોલ ગામમાં ગોંધી રાખ્યો હતો.
વહેલી સવારે ભોગ બનનાર પ્રકાશ પ્રજાપતી કૂતરાને બિસ્કીટ ખવડાવવા નીકળ્યા હતા તે સમયે આરોપીઓ સીલેરિયો કાર લઇને આવ્યા હતા અને ભોગ બનનારનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. ભોગ બનનારના અપહરણ બાદ તેની પત્ની પર ફોન આવ્યો હતો અને ફોન પર કહ્યું હતું કે
જાે પ્રકાશભાઈને છોડાવવા હોય તો એક કરોડ રૂપિયા મોકલવાની વાત કરતા ભોગ બનનારની પત્નીએ ચાંદખેડા પોલીસનો સંપર્ક કર્યો હતો. જાેકે આ ઘટનાની જાણ ક્રાઇમ બ્રાન્ચ ને થતા પોલીસે ભોગ બનનારના ઘરે તપાસ કરતા અપહરણના સીસીટીવી મળી આવ્યા હતા. પોલીસે સીસીટીવી તથા મોબાઇલ નંબરના આધારે તપાસ કરતા આરોપીઓએ ભોગ બનનારને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ રાળોલ ખાતે એક ઘરમાં ગોંધી રાખ્યો હોવાનું સામે આવતા પોલીસે તમામ આરોપીઓને દબોચી નાખી ભોગ બનનારને હેમખેમ છોડાવ્યો હતો.
આરોપીઓની પૂછપરછમાં મુખ્ય આરોપી નરેન્દ્રસિંહ રાઠોડ ને ભોગ બનનાર પાસેથી પાંચ કરોડ બાકીનાં લેવાના હોવાથી અપહરણ માટેનો સમગ્ર પ્લાન ઘડ્યો હોવાનું ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ડી બી બારડએ જણાવ્યું છે. જાેકે આ સમગ્ર ઘટનામાં કુલ ૮ આરોપીઓની સંડોવણી સામે આવી છે.
હાલ તો પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી ફરાર ત્રણ આરોપીઓની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ અપહરણ રૂપિયાની લેતીદેતીમાં કરાયું હોવાનું પોલીસ માની રહી છે.