રેલવેએ લોકલ ટ્રેનોનું ભાડું બમણું કરી દીધું

Files Photo
૨૫ રૂપિયાને બદલે ૫૫ રૂપિયા ભાડું આપવું પડશે, બીજી તરફ ૩૦ના બદલે ૬૦ રૂપિયા ભાડું વસૂલવામાં આવશે
નવી દિલ્હી, ભારતીય રેલવેએ ઓછા અંતરની ટ્રેનોનું ભાડું વધારી દીધું છે. તેની પર વિપક્ષના હોબાળા બાદ રેલવેએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, કોરોના કાળમાં શોર્ટ ડિસ્ટન્સ ટ્રેનોમાં બિનજરૂરી ભીડ વધવાથી રોકવા માટે ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.
હવે લોકલ ટ્રેનોથી મુસાફરી માટે વધુ ભાડું આપવું પડશે. રેલવેએ લોકલ ટ્રેનોમાં ભાડું બે ગણા સુધી વધારી દીધું છે. હવે મુસાફરોને ૨૫ રૂપિયાને બદલે ૫૫ રૂપિયા ભાડું આપવું પડશે.
બીજી તરફ ૩૦ રૂપિયાના બદલે ૬૦ રૂપિયા ભાડું વસૂલવામાં આવશે. ભારતીય રેલવેએ કહ્યું કે, કુલ સંખ્યાની માત્ર ૩ ટકા ટ્રેનો માટે ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. ભાડામાં કરવામાં આવેલા વધારાની માર દરરોજ ૩૦-૪૦ કિલોમીટર સુધીની મુસાફરી કરનારા મુસાફરો પર પડશે.
નોંધનીય છે કે કાૅંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટૂંકા અંતરની મુસાફરી પર રેલવે તરફથી ભાડામાં કરવામાં આવેલા વધારાને લઈ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેઓએ ટ્વીટ કર્યું, ‘કોવિડ-૧૯ આપદા આપકી, અવસર સરકાર કા, પેટ્રોલ-ડીઝલ-ગેસ-ટ્રેન કિરાયા. મધ્યમ વર્ગ કો બુરા ફંસાયા, લૂટ ને તોડી જુમલો કી માયા.’ બે દિવસ પહેલા જ્યારે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું ત્યારે રેલવએ તેને તથ્યાત્મક રીતે ખોટું ગણાવ્યું હતું.
રેલ મંત્રાલયે કહ્યું કે કોવિડ-૧૯ હજુ ખતમ નથી થયું, પરંતુ કેટલાક રાજ્યોમાં સ્થિતિ ફરીથી બગડી રહી છે. કેટલાક રાજ્ય સુરક્ષાની દૃષ્ટિએ બીજા રાજ્યોથી આવનારા લોકોનું સ્ક્રીનિંગ કરી રહ્યું છે. આ ઉપરાંત હજુ પણ અનેક રાજ્ય બીજા રાજ્યોના લોકોને મુસાફરી કરવાની ના પાડી રહ્યા છે.
તેમને કહેવામાં આવી રહ્યું છે કે ખૂબ જ જરૂરી હોય તો જ મુસાફરી કરો. નોંધનીય છે કે, ભારતીય રેલવે હાલમાં ૧૨૫૦ મેલ કે એક્સપ્રેસ ટ્રેનો ચલાવી રહી છે. આ ઉપરાંત ૫૩૫૦ સબ-અર્બન ટ્રેનો અને ૩૨૬ પેસેન્જર ટ્રેનો દરરોજ દોડવવામાં આવી રહી છે. રેલવે જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા સ્પેશલ ટ્રેનોનું સંચાલન કરી રહી છે.