લવિંગ તેમજ અજમાનો નુસ્ખો ઓક્સિ. લેવલ વધારી શકે છે ?
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Clove-scaled.jpg)
Files Photo
નવી દિલ્હી: જે ગતીથી સમગ્ર દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે, તે જ ઝડપે હોસ્પિટલોમાં ઓક્સિજન સિલિન્ડર અને બેડની પણ માંગ વધી રહી છે. દરમિયાન, એક સોશિયલ મીડિયા પોસ્ટ ઇન્ટરનેટ પર વધુને વધુ વાયરલ થઈ રહી છે, જેમાં ઘરેલું રેસિપિ શરીરના ઓક્સિજનના સ્તરને વધારવા માટે કહેવામાં આવી રહી છે. આ વાયરલ પોસ્ટને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પણ શેર કરી છે. આ પોસ્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કપૂર, લવિંગ અજમો અને નીલગિરી તેલનાં થોડા ટીપાં સુંઘવાથી શરીરમાં કન્જેશનની સમસ્યાને દૂર કરી ઓક્સિજનનું સ્તર વધારવામાં મદદ કરે છે. વાયરલ પોસ્ટમાં લખ્યું છે કે – ‘કપૂર, લવિંગ, અજમો અને નીલગિરીના તેલના થોડા ટીપાં મીક્સ કરી એક પોટલી બનાવી તેને દિવસભર સુગંધતા રહો. આ કરવાથી શરીરનો ઓક્સિજન લેવલ વધે છે અને કન્જેશનની સમસ્યા દૂર થાય છે.
આ પ્રકારની પોટલી લદાખમાં પણ પર્યટકોને આપવામાં આવે છે. જ્યારે તેમનું ઓક્સિજનનું સ્તર ઘટવાનું શરૂ થાય છે. આ એક ઘરેલું ઉપાય છે. આવા દાવાઓને સાબિત કરવા માટે કોઈ અહેવાલ નથી, જે કહી શકે કે કપૂર, લવિંગ, અજમો અને નીલગિરીના તેલથી બ્લડમાં ઓક્સિજનનું સ્તર વધારે છે અને શ્વાસ સાથે સંકળાયેલ સમસ્યાઓમાં રાહત આપે છે. જાે કે, હળવા શ્વસન ઇન્ફેક્શનના કિસ્સામાં, આ ઉપચાર તમને સારો અનુભવ કરાવવામાં મદદ કરી શકે છે.
ત્વચા પર આવતી ખંજવાળ અથવા દુખાવો ઓછો કરવા માટે કપૂર ઘસવામાં આવે છે, પરંતુ બંધ નાક ખોલવામાં કપૂર ફાયદાકારક છે એવો કોઈ અભ્યાસ નથી. સાથે જ એક અભ્યાસમાં આ વાત પણ સામે આવી છે કે બંધ નાક ખુલવાથી શરીરમાં ઓક્સિજનનું લેવલ વધે છે, એવું નથી. એ જ રીતે આવો કોઈ અભ્યાસ નથી જે આ દાવો કરી શકે કે, કપૂર, લવિંગ, અજમો અને નીલગિરીનું તેલ શરીરના ઓક્સિજન લેવલને વધારવામાં મદદ કરી શકે છે.