લુધિયાણામાં પંજાબ પોલીસના બરતરફ જવાને બ્લાસ્ટ કર્યો હતો

ચંદીગઢ, લુધિયાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં થયેલા બ્લાસ્ટ અંગે પંજાબના ડીજીપી સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાયે જણાવ્યું હતું કે મૃતક પૂર્વ પોલીસમેન ગગનદીપ સિંહ હતો. ડ્રગ-તસ્કરીના કેસમાં ધરપકડ થયા પછી તેને ૨૦૧૯માં સેવામાંથી બરતરફ કરવામાં આવ્યો હતો અને તે બે વર્ષ જેલમાં હતો.
લુધિયાણામાં જિલ્લા કોર્ટ પરિસરમાં ગુરુવારે થયેલા વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને છ અન્ય ઘાયલ થયા હતાં. વિસ્ફોટમાં માર્યા ગયેલા વ્યક્તિની ઓળખ રાજ્ય પોલીસના બરતરફ હેડ કોન્સ્ટેબલ તરીકે કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ગગનદીપ સિંહ લુધિયાણાના ખન્નાનો રહેવાસી હતો અને તેને ડ્રગ્સના કેસમાં હેડ કોન્સ્ટેબલના પદ પરથી બરતરફ કરવામાં આવ્યો હતો. પોલીસે અગાઉ કહ્યું હતું કે તેમને શંકા છે કે વિસ્ફોટમાં માર્યા ગયેલા વ્યક્તિ વિસ્ફોટકો બનાવવા અથવા સ્ટોર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ ઘટના બાદ પંજાબ સરકારે રાજ્યમાં ‘હાઈ એલર્ટ’ જાહેર કરી દીધું હતું.
પંજાબમાં અરાજકતા ફેલાવવાની શંકાફોરેન્સિક ટીમો અને વિશેષ એજન્સીઓને બ્લાસ્ટ સ્થળ પર બોલાવવામાં આવી છે. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ આશંકા વ્યક્ત કરી છે કે વિસ્ફોટ રાજ્યમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ હોઈ શકે છે, જ્યાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.HS