વગર લાયસન્સે પ્રાણીઓની દવા બનાવતી કંપની પર દરોડો
બલ્ક ડ્રગ્સનો એક ટનનો રૂ. ૧૨.૫૦ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો
વડોદરા, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે બાતમીને આધારે વડોદરા ખાતે વગર લાયસન્સે ચાલતી પ્રાણીઓની સારવાર માટેની દવા બનાવતી એક કંપનીમાં દરોડો પાડીને આ ડ્રગ્સનું ઉત્પાદન કરતા માલિક પિતા-પુત્ર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. બલ્ક ડ્રગ્સ એ.પી.નો એક ટનનો રૂ. ૧૨.૫૦ લાખની કિંમતનો જથ્થો જપ્ત કરીને ફુડ એન્ડ ડ્રગ્સની ટીમે કાયદેસરનીકાર્યવાહી હાથ ધરી છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ. એચ.જી. કોશિયાએ વધુ વિગત આપતા જણાવ્યુ છે કે, મે. ફાર્મા ઇન્ટરકેમી, પ્લોટ નં. ૧૩૭ થી ૧૪૦, નાંદેસરી જી.આઇ.ડી.સી., વડોદરા, ગુજરાત ખાતે વડોદરાના ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ રેડ કરીને ૫૦ કિલોના ૨૦ ડ્રમ જેટલો એ.પી.આઇ.નો જથ્થો શોધી કાઢ્યો હતો. જેમાંથી વડોદરાના અધિકારીઓએ કાયદેસરના નિયમિત નમૂના લઇ બાકીનો જથ્થો વધુ કાર્યવાહી અર્થે જપ્ત કરવામાં આવ્યો છે.
દરોડા દરમિયાન પેઢીના ભાગીદારો બલવંતભાઇ વી. રેટરેકર અને મયંક બી. રેટરેકર પિતા પુત્રએ કબૂલાત કરી છે કે તેઓ આ ગેરકાયદેસર ઉત્પાદન વગર લાયસન્સે શરૂ કરી કોઇપણ જાતના ટેસ્ટીંગ કર્યા વગર આ પ્રોડક્ટના કેમીકલ નામથી (૧) મે. અદાણી ફાર્મા કેમ, મેટોડા, રાજકોટ, (૨) મે. એસેન્ટ ફાર્મા, શાપર, વેરાવળ, રાજકોટ, (૩) મે. પ્રિઝમ ઇન્ડપસ્ટ્રીઝ, ખંભાત, આણંદ, (૪) મે. કૈવલ કેમીકલ પ્રા. લી., ઉમરાયા, પાદરા, વડોદરા, (૫) મે. ટ્રીમ્પ ઇન્ટરકેમ, દીલસુખ નગર, હૈદ્રાબાદ, (૬) મે. ગરદા કેમીકલ્સ, દામ્બીવલી, ઇસ્ટ, મહારાષ્ટ્રને વેચાણ કરી છે.
હાલમાં તેઓ પાસે રહેલ એક ટન મુદ્દામાલ કે જેની વેચાણ કિંમત આશરે રૂ. ૧૨.૫૦ લાખ છે તે કબજે કરી આગળની કાર્યવાહી ચાલુ છે. વગર પરવાને બલ્ક ડ્રગ્સનું ઉત્પાદન કરી તેનુ વેચાણ કરી ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારાની કલમ ૧૮(સી)નો ભંગ તથા કલમ ૨૭ મુજબ સજાને પાત્ર ગુન્હાહીત કૃત્ય આચરનાર બંને સામે કડક કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
તેઓ દ્વારા કેટલા સમયથી આ બનાવટોનું ઉત્પાદન થાય છે? તથા અત્યાર સુધી કોને કોને વેચાણ કર્યુ છે? તે ઉપરાંત ઉપયોગ કરેલ રો-મટીરીયલ ક્યાંથી મેળવેલ છે?, લેબલ ક્યાંથી મેળવેલ છે?, પેકીંગ મટીરીયલ ક્યાંથી મેળવેલ છે? અને ઉપર દર્શાવેલ પેઢીઓ/ઉત્પાદક સિવાય ક્યાં ક્યાં વેચાણ કરેલ છે? તેની સહિતની સઘન તપાસ વડોદરા, આણંદ અને રાજકોટના ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા હાલમાં ચાલી રહી છે.
આ તમામ કાર્યવાહી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, કમિશ્નર, ડૉ.એચ.જી.કોશિયાના સીધા માર્ગદર્શન અને સૂચનાથી હાથ ધરવામા આવી છે. સમાજમાં આવા ગુનાહિત્ત કૃત્યો આચરનાર અને ગેરમાર્ગે દોરનાર વ્યક્તિઓ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ કડક કાર્યવાહી શરુ કરતા આવા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ રહ્યો છે અને આવા તત્વોને જેર કરવા તંત્ર ભૂતકાળમાં પણ સફળ રહ્યું છે અને ભવિષ્યમાં ગમે તેવા ચમરબંધીને પણ બક્ષશે નહીં તેમ ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યુ છે.