વરસાદમાં ફસાયેલા લોકોને ખસેડવા મુખ્યમંત્રીનો આદેશ

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ સૌ પ્રથમ જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર રાજકોટ જિલ્લા અને શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ જામનગરના કલેકટર સાથે ટેલિફોનીક વાતચીત કરીને બચાવ અને રાહત કામગીરી તેમજ પાણીમાં ફસાયેલા લોકોને એનડીઆરએફ ની મદદથી સ્થળાંતર કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં ભારે વરસાદને કારણે આજી ૨ ડેમની જળાશયની સ્થિતિ અંગે વિગતો મેળવી નીચાણ વાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે સત્વરે ખસેડવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરને તાકીદ કરી હતી.
રાજકોટમાં ૧૧૫૫ લોકો જે આજીના નીચાણવાળા વિસ્તારમાં રહે છે. આ તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલે એનડીઆરએફની ૩ ટીમ રાજકોટ માટે અને ૨ ટીમ જામનગર માટે ભાટિંડાથી મંગાવવાની વ્યવસ્થા કરવા તંત્રવાહકોને સૂચના આપી હતી.
મુખ્યમંત્રીએ ખાસ કરીને બચાવ રાહત કામગીરીને પ્રયોરિટી આપવા સૂચનાઓ આપી હતી. મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, અધિક મુખ્ય સચિવ એ. કે.રાકેશ તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે દાસ, રાહત કમિશનર આદ્રા અગ્રવાલ તેમજ મુખ્યમંત્રીના ઓએસડી ડી.એચ શાહ બેઠકમાં જાેડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પુરની સ્થિતિને ધ્યાને રાખીને જામનગરમાં ૬ એનડીઆરએફની ટીમ ફરજ પર છે. આ ટીમો દ્વારા રેસક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ ૧૩ પુરૂષો, ૧૧ મહિલા, ૦૭ બાળકો મળીને ૩૧ લોકોને બચાવવામાં આવ્યા છે. જામનગરમાં સર્જાયેલી પુરની સ્થિતિમાં બચાવકાર્ય માટે ૨૦ જવાનો, એક સ્ટેશન ઓફિસર ને વિવિધ મશીનરી સાથે રવાના કરાયા.SSS