વાંકાનેરના કણકોટમાં કૂવામાં કાર ખાબકતાં અમદાવાદના સાસુ-વહુ સહિત બે પૌત્રનાં મોત
મોરબી, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કણકોટ ગામ નજીક ગઈકાલે રવિવારની રાત્રે દિવાળીની રજાઓમાં ફરવા નીકળેલા એક પરિવારની કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં આ ઈકો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર કૂવામાં ખાબકી હતી.
આ ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારની બે મહિલા અને બે બાળકો સહિત ચાર સભ્યોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં. એક જ પરિવારના ચાર સભ્યોનાં મોતથી પરિવારમાં કલ્પાંત મચ્યો છે. આ બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી સઘન તપાસ હાથ ધરી હતી.
આ ગમખ્વાર અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા રતિભાઈ ભવાનભાઈ પ્રજાપતિ અને તેમનો પરિવાર દિવાળીની રજાઓમાં સોમનાથ-દ્વારકા બાજુ ફરવા માટે પોતાના ઘરેથી ઇકો કારમાં નીકળ્યા હતા. એ પછી ગઈકાલે રવિવારે તેઓ વાંકાનેર થઇ મકનસર ગામે સંબંધીના ઘરે જઈ રહ્યા હતા.
આ દરમિયાન તેમની ઈકો કાર નં. GJ-1-HZ-1453ના ચાલકે વાંકાનેર તાલુકાના કણકોટ ગામ નજીક કોઈ કારણોસર સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડની સાઈડમાં નીચે ઊતરી ગઈ હતી અને રોડની બાજુમાં આવેલા પાણી ભરેલા કૂવાની અંદર ખાબકી હતી.
આ અકસ્માતમાં કારચાલક, પરિવારના મોભી રતિભાઈ તેમજ તેમનો દીકરો દિનેશભાઈ પ્રજાપતિ આગળના ભાગે બેઠેલા હોવાથી તેઓ કોઈ રીતે કારમાંથી બહાર નીકળી ગયા હતા, પરંતુ કારની પાછળનો દરવાજો ન ખૂલતાં પાણી ભરાતાં કારમાં બેઠેલા રતિભાઈનાં પત્ની મંજુલાબેન પ્રજાપતિ, પુત્રવધૂ મીનાબેન દિનેશભાઈ પ્રજાપતિ અને બે પૌત્ર આદિત્ય અને ઓમના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.
ગઈકાલે રાત્રે વાંકાનેર તાલુકાના કણકોટ ગામ પાસે રાજકોટ જવાના ખોરાણાવાળા શોર્ટ રસ્તા પર ઇકો કાર ફુલ સ્પીડમાં આવતી હતી અને કાબૂ ગુમાવતાં રોડથી આશરે 50 ફૂટ દૂર આવેલા એક કૂવામાં ખાબકી હતી, જેનો ડ્રાઇવર કૂદકો મારીને નીકળી ગયો હતો, જ્યારે કારમાં સવાર બે પુરુષ પણ બચી ગયા હતા. તેઓ કૂવામાં આવેલા કડ પર ચડી ગયા હતા અને લોકોએ તેમને બહાર કાઢ્યા હતા. જ્યારે બે બાળક સહિત બે મહિલા સાથે કાર કૂવામાં પડી હતી. કૂવામાં પાણી વધારે હોવાથી કાર પાણીમાં ડૂબી ગઈ હતી.