વાયુ પ્રદૂષણના કારણે વિશ્વમાં દર મિનિટે ૧૩નાં મોત
નવીદિલ્હી, વિશ્વભરમાં વાયૂ પ્રદૂષણથી થનારા મોતને લઇને વિશ્વ આરોગ્ય સંગઠને ડરામણો રિપોર્ટ જાહેર કર્યો છે. વાસ્તવમાં આ રિપોર્ટ અનુસાર વાયુ પ્રદૂષણના કારણે વિશ્વમાં દર મિનીટે ૧૩ના મોત થઇ રહ્યા છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં સંયુક્ત રાષ્ટ્ર ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સની આગેવાની હેઠળ શરૃં કરવામાં આવેલી બેઠકમાં ડબ્લ્યુએચઓએ પોતાનો ખાસ રિપોર્ટ જાહેર કરતાં ચેતવણી પણ આપી છે કે જાે આગામી સમયમાં લોકો ચેતશે નહી તો ગંભીર પરિણામો ભોગવવા પડે તેમ છે.
ડબ્લ્યુએચઓેએ ગ્લોબલ વોર્મિગને ૧.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી સિમિત કરવા આહવાન કર્યું હતું. આ બેઠક દરમિયાન ડબલ્યુએચઓના ડિરેક્ટર જનરલ ડો ટેડ્રોસ અધોનામ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે કોરોના રોગચાળાએ મનુષ્યો, જાનવરો અને આપણા પર્યાવરણની વચ્ચે ધનિષ્ઠ અને નાજુક સંબંધો ઉપર પ્રકાશ પાડે છે. તેમણે જણાવ્યું હતું કે ડબલ્યુએચઓ તમામ દેશો પાસેથી ગ્લોબલ વોર્મિગને ૧.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવા માટે પર નિર્ણાયક કાર્યવાહી કરવા આહવાન કરે છે, તે આપણા હિતમાં છે.
ડબલ્યુએચઓના આ રિપોર્ટને ઓપન લેટર તરીકે લોંચ કરવામાં આવ્યો છે, જેના ઉપર ગ્લોબલ હેલ્થ વર્કફોર્સના બે તૃતિયાંશથી વધારે અધિકારીઓના હસ્તાક્ષર કરાયા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ફોસિલ ફ્યૂઅલના સળગવાથી લોકોના જીવ જઇ રહ્યા છે.
ક્લાઇમેટ ચેન્જ માનવતાની સામે સૌથી મોટો સ્વાસ્થ્ય ખતરો છે. ક્લાઇમેટ ચેન્જના સ્વાસ્થ્ય પ્રભાવો સામે કોઇ સુરક્ષિત નથી, પછી તે ગરીબ વર્ગ હોય કે અમીર વર્ગ હોય. આપણે તેના ઉપર પગલાં ભરવા જ પડશે નહી તો આગામી પેઢી માટે આ બાબત વધારે ખતરનાક હશે. ડબલ્યુટીઓ અનુસાર લોકોના સ્વાસ્થ્યના રક્ષણ માટે ઊર્જા, પરિવહન, પ્રકૃતિ, ફૂડ સિસ્ટમ સહિત તમામ ક્ષેત્રમાં પરિવર્તનકારી કામગીરીની આવશ્યકતા છે.HS