વાવમાં કોંગ્રેસના ૫૦૦ જેટલા કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કરી લીધો
પાલનપુર, વિજયાદશમી દિવસે જ બનાસકાંઠાના વાવમાં કોંગ્રેસના ૫૦૦ જેટલા કાર્યકરોએ કોંગ્રેસ છોડીને ભાજપનો ભગવો ધારણ કરી લીધો છે. વાવના ખારા ગામે યોજાયેલા ભાજપના સ્નેહ મિલન સંમેલનમાં આજ રોજ ૨૭ ગામના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.
કોંગ્રેસના ૫૦૦ થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જાેડાતા કોંગ્રેસને વધુ એક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વાવ વિધાનસભામાં ૨૦૧૭ ની ચૂંટણીમાં પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીની હાર થઈ હતી. જ્યાર બાદ તેમને આ વિસ્તારમાં સતત પ્રજાલક્ષી કામ કરી ભાજપના સંગઠનને વધુ મજબૂત કર્યું છે.
કોંગ્રેસી કાર્યકરોમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, જીલ્લા પંચાયત સદસ્ય તેમજ ૧૫ થી વધુ સરપંચ સહિત ૫૦૦ જેટલાં કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો કેસરિયો ધારણ કરતા ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.
ભાભરના ખારા ગામે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસ છોડી પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ, જીલ્લા પંચાયતના પ્રમુખ સહિત ૨૦ થી વધુ સરપંચ અને ઉપસરપંચે ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. કોંગ્રેસ છોડીને આવેલા તમામ કાર્યકરોને પૂર્વ આરોગ્ય મંત્રી, બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી તેમજ ભાજપના આગેવાનોએ ખેસ પહેરાવી તેઓએ આવકાર્યા હતાં.HS