વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સીની રૂ. ૯,૩૭૧ની સંપત્તિ જપ્ત કરી બેન્કોને ટ્રાન્સફર કરી
નવીદિલ્હી, દેશની બેંકો સાથે હજારો કરોડની છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયેલા ભાગેડુ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી પાસેથી કેટલી રકમ વસૂલવામાં આવી છે તેની માહિતી બુધવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી હતી. કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે વિજય માલ્યા,નીરવ મોદી અને મેહુલ ચોક્સી ફ્રોડ કેસમાં બેંકોના ૧૮૦૦૦ કરોડ રૂપિયા પરત ફર્યા છે.
તુષાર મહેતાએ જસ્ટિસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેંચને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, ૨૦૦૨ સંબંધિત કુલ કેસોમાં રૂ. ૬૭૦૦૦ કરોડના આર્થિક ગુનાનો સમાવેશ થાય છે.
પીએમએલએ હેઠળ ગુનાની કાર્યવાહીની શોધ, જપ્તી, તપાસ અને જાેડાણ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ઉપલબ્ધ સત્તાઓના વ્યાપક અવકાશને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે. જસ્ટિસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેંચના અન્ય સભ્યોમાં જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમાર છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) હાલમાં ૪૭૦૦ કેસોની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં ઈડી દ્વારા તપાસના નવા કેસ વર્ષ ૨૧૦૫-૧૬માં ૧૧૧ થી ૨૦૨૦-૨૧માં ૯૮૧ની રેન્જમાં છે.
ઈડી પાસે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ ૨૦૦૨ હેઠળ સંપત્તિની તપાસ, જપ્તી, શોધ અને જપ્ત કરવાની સત્તા છે. તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૧ દરમિયાન ઇડીએ તપાસ માટે માત્ર ૨૦૮૬ પીએમએલએ કેસ સ્વીકાર્યા હતા, જ્યારે આવા કેસો માટે ૩૩ લાખ એફઆઇઆર નોંધવામાં આવી હતી.
તેમણે કહ્યું કે પીએમએલએ હેઠળ દર વર્ષે બહુ ઓછી સંખ્યામાં કેસ લેવામાં આવે છે. જ્યારે દર વર્ષે બ્રિટનમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ૭૯૦૦ કેસ, અમેરિકામાં ૧૫૩૨ કેસ, ચીનમાં ૪૬૯૧ કેસ, ઓસ્ટ્રિયામાં ૧૦૩૬ કેસ, હોંગકોંગમાં ૧૮૨૩ કેસ, બેલ્જિયમમાં ૧૮૬૨ કેસ અને રશિયામાં ૨૭૬૪ કેસ નોંધાય છે.HS