વિદેશમાં ફસાયેલા OCI કાર્ડ ધારકોને ભારત પરત આવવા મંજૂરી આપી

ગૃહ મંત્રાલયે કોવિડ-19 સામે પ્રતિક્રિયાના ભાગરૂપે લાગુ કરવામાં આવેલા વીઝા અને પ્રવાસ પરના પ્રતિબંધો હળવા કર્યા,
નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા કોવિડ-19 મહામારી સામે પ્રતિક્રિયાના ભાગરૂપે વીઝા અને પ્રવાસ પર મુકવામાં આવેલા પ્રતિબંધો થોડા હળવા કરવામાં આવ્યા છે અને હવે વિદેશમાં ફસાયેલા ચોક્કસ પ્રકારની શ્રેણીના વિદેશી ભારતીય નાગરિક (OCI) કાર્ડ ધારકોને ભારત પરત આવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
નીચે ઉલ્લેખ કરેલી શ્રેણીમાં આવતા OCI કાર્ડધારકોને ભારત પરત આવવા માટે મંજૂરી આપવામાં આવી છે:-
⦁ વિદેશમાં જન્મેલા અને OCI કાર્ડ ધરાવતા ભારતીય નાગરિકોના સગીર બાળકો.
⦁ એવા OCI કાર્ડધારકો જેઓ પરિવારમાં મૃત્યુ જેવી કોઇ તાકીદની પારિવારિક સ્થિતિના કારણે ભારતમાં પરત આવવા માંગે છે.
⦁ એવા દંપતીઓ જેમાં પતિ અથવા પત્નીમાંથી કોઇ એક OCI કાર્ડધારક હોય અને બીજી વ્યક્તિ ભારતીય નાગરિક હોય અને તેમની પાસે ભારતમાં કાયમી વસવાટની મંજૂરી હોય.
⦁ યુનિવર્સિટીના એવા વિદ્યાર્થીઓ જેઓ OCI કાર્ડધારક (કાયદેસર રીતે સગીર નહીં) હોય પરંતુ તેમના માતાપિતા ભારતીય નાગરિક હોય અને તેઓ ભારતમાં રહેતા હોય.
અગાઉ 07.05.2020ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલા પ્રવાસના પ્રતિબંધો ઉપરોક્ત ઉલ્લેખ કરવામાં આવેલા વિદેશમાં ફસાયેલા OCI કાર્ડધારકોને વતનમાં પરત લાવવા માટે તૈનાત કરવામાં આવેલા કોઇપણ એરક્રાફ્ટ જહાજ, ટ્રેન અથવા અન્ય કોઇપણ વાહન માટે લાગુ થવાપાત્ર રહેશે નહીં. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 07.05.2020ના રોજ લાગુ કરવામા આવેલી અન્ય તમામ શરતોનો અમલ ચાલુ રહેશે.