વિદ્યાનગરમાં તસ્કરોને નાઈટ કર્ફ્યુ ફળ્યો , પાંચ દુકાનોના તૂટ્યા તાળા

Files Photo
ખંભાત: વિદ્યાનગરમાં રાત્રિના ૮ પછી કરફ્યુંના માહોલમાં પણ તસ્કરોની ચાલાકી શનિવાર રાત્રિના બનાવ પરથી બહાર આવ્યું છે. તસ્કરોએ પોલીસ ના રાત્રી પહેરાની પોલ ખુલ્લી કરી દીધી છે. એપોલો ફાર્મસીની બે દુકાનોમાં અંદર પ્રવેશ કરી કેશ કાઉન્ટરમાંથી રૂ.૮૯ હજારનો મુદ્દામાલ ચોરી કરી ગયાં હતાં. આ અંગે હાલ વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખંભાતની રણમુક્તેશ્વર સોસાયટી ખાતે રહેતા હિતેષકુમાર ચુનારા વિદ્યાનગર એલીકોન ગાર્ડન પાસે આવેલી અપોલો ફાર્મસી યુનિટ ઓફ અપોલો ફાર્મસીસ લીમીટેડમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. જ્યારે અન્ય બે કર્મચારી ફાર્મસી આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. તેઓની નોકરી સિફ્ટ વાઇઝ હોય છે. ૮મીની સાંજે સાડા છ વાગે ફરિયાદી હિતેષકુમાર નોકરી પુરી થતાં ઘરે જતાં રહ્યાં હતાં. તે પછી રાતના અગિયાર વાગે બાકરોલ રહેતા ચંદ્રકાંત પરમારે દુકાન બંધ કરી મેસેજ કર્યો હતો. દરમિયાનમાં વહેલી સવારે દુકાન ખોલવા આવેલા કર્મચારીએ જાેયું તો દુકાનનું શટર તુટેલી હાલતમાં છે અને ચોરી થયાનું જણાયું હતું.
દુકાનમાં તપાસ કરતાં બધી દવાઓ અસ્ત વ્યસ્ત પડી હતી. કેશ કાઉન્ટરમાં જાેતા તેમાં દવાઓનું વેચાણ કરેલા રોકડ રૂ.૪૩,૦૦૪ તથા મોબાઇલ ચોરી થયાનું જણાયું હતું. આ ઉપરાંત એપોલો ફાર્મસીની બીજી શાખા વડતાલ – બાકરોલ રોડ પર શતક્રતુ કોમ્પ્લેક્સ નીચે આવેલી છે.
જેનું પણ શટર તોડી તેના કેશ કાઉન્ટરમાં મુકેલા રોકડા રૂ.૪૫,૬૧૪ની ચોરી કરી નાસી ગયાં હતાં. આમ, અજાણ્યા શખસો બન્ને દુકાનમાંથી કુલ રૂ.૮૯,૨૧૮ની ચોરી કરી નાસી ગયાં હતાં. જાેકે, પોલીસની પ્રાથમિક તપાસમાં માધવ પાન, કે. કે. પાન અને અમુલ પાર્લરમાં પણ ચોરી થયાનું જણાયું હતું. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિદ્યાનગર પોલીસ હદમાં એક જ રાતમાં પાંચ દુકાનના તાળા તુટતાં વેપારીઓ ફફડી ઉઠ્યાં છે. આ અંગે પોલીસે ગુનો નોઁધી તપાસ હાથ ધરી છે. જેમાં મહત્વની કડી કહી શકાય તેવા વીડીયો ફુટેજ મેળવી લીધા છે. જેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.