વિધર્મીઓને ભાડેથી દુકાન કે મકાન ન આપવા બેનરો લાગ્યાં
સુરત, સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મીરા નગર સોસાયટી સહિતની અન્ય ૧૦થી ૧૨ જેટલી સોસાયટીઓએ પોતાની સોસાયટીના ગેટની બહાર બેનરો લગાડ્યા છે.
બેનરમાં સ્પષ્ટ લખાયું છે કે વિધર્મીઓ આ વિસ્તારની બહેન દીકરીઓને લવ જેહાદમાં ફસાવે છે. જેને કારણે આપણી મહિલાઓ આ વિસ્તારમાં વિધર્મી યુવકોના કારણે સુરક્ષિત નથી. તેથી ભાડેથી મકાન કે દુકાન આપવા નહીં એ પ્રકારની વાત બેનરમાં લખવામાં આવી છે.
સ્થાનિક સોસાયટીના રહીશો દ્વારા કરાયેલી મીટીંગમાં નિર્ણય લેવાયો છે કે જેમણે હાલ અત્યારે ભાડેથી દુકાન અને મકાનો આપ્યા છે તેઓ તાત્કાલિક ખાલી કરાવી દે નહીંતર તેમની સંપત્તિને નુકસાન થાય તો તેના માટે તેઓ જવાબદાર રહેશે નહીં. આડકતરી રીતે ગર્ભિત ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે
તાત્કાલિક અસરથી વિધર્મીઓને આપેલી દુકાનો અને મકાનો ખાલી કરાવી લેવા જરૂરી છે. બેનરમાં લખ્યું છે કે અન્ય રાજ્યમાંથી તડીપાર થઈને આવેલા અસામાજિક તત્વો જે વિધર્મીઓ છે તેઓ અહીં આવીને પણ ગુનાહિત કૃત્ય કરે છે અને બહેન દીકરીઓને લવ જેહાદમાં ફસાવે છે.
વિશ્વ હિન્દુ પરિષદના શહેર મંત્રી કમલેશ કાયડાએ જણાવ્યું કે કેટલાક સમયથી વિધર્મીઓ દ્વારા આ વિસ્તારની અંદર પગ પેસારો કરવામાં આવી રહ્યો છે. વિધર્મીઓની અવરજવર પણ વધવા માંડી છે. તેને કારણે આસપાસની સોસાયટીના લોકો એકત્રિત થઈને નિર્ણય કર્યાે છે.