વિધવા મહિલાએ લગ્નની વાત કરતા યુવકના સંબંધીઓએ માર માર્યો : કુલ ૧૨ સામે ફરિયાદ.
ઝઘડિયા તાલુકાના એક ગામે ચાર સંતાનોની માતા સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની ના પાડતા યુવક વિરુદ્ધ ફરિયાદ.
(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી ૩૪ વર્ષીય વિધવા મહિલાને સંજય વસાવા નામના એક યુવક સાથે ૨૦૧૫ ની સાલથી પ્રેમ સંબંધ બંધાયો હતો.આ યુવક સાથેના સંબંધથી આ મહિલાએ ૨૦૧૬ માં એક પુત્રને જન્મ આપ્યો હતો.આ મહિલા તેના ચાર સંતાનો સાથે તેના ગામે રહે છે.આ મહિલાને તેના પ્રેમી યુવક દ્વારા પુત્ર જનમ્યા બાદ મહિલા અવારનવાર તેની સાથે લગ્ન કરી લેવા યુવકને જણાવતી હતી, પરંતું યુવકે તેની સાથે લગ્ન કર્યા ન હતા.દરમ્યાન આ યુવકે અન્ય ગામની એક છોકરી સાથે સગાઇ કરી લીધી હોવાની ખબર મળતા મહિલાએ તેના પ્રેમી યુવકને તેની સાથે લગ્ન કરવા જણાવ્યુ હતું.
ત્યાર બાદ આ મહિલા તેની માતાના ઘરે આવેલ હતી.દરમ્યાન ગત તા.૩૦ મીના રોજ સાજના આઠેક વાગ્યાના સમયે મહિલા તેની મમ્મીના ઘરે હાજર હતી.ત્યારે યુવકના કેટલાક સંબંધીઓ ત્યાં આવ્યા હતા અને મહિલાને કહ્યુ હતુ કે સંજય તારી સાથે લગ્ન કરવાનો નથી.તેમ કહીને એ લોકો ગાળો બોલવા લાગ્યા હતા અને મહિલાને ઢિકાપાટુનો માર મારવા લાગ્યા હતા.
તે લોકોએ મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.આ ઘટના સંદર્ભે આ મહિલાએ શાંતિલાલ છનાભાઈ વસાવા,કેશરભાઈ છનાભાઈ વસાવા,પરેશભાઈ શાંતિલાલ વસાવા,પાયલબેન વિનોદભાઈ વસાવા, ઉર્મિલાબેન શાંતિલાલ વસાવા,અશોકભાઈ ભીમાભાઇ વસાવા,વિનોદભાઈ જમાઈ તમામ રહે.ગામ કુંવરપરા તા.ઝઘડિયાના તેમજ નર્મદા જિલ્લાના ઉમરવાના અન્ય પાંચ ઈસમો મળી કુલ ૧૨ વ્યક્તિઓ સામે ઝઘડીયા તાલુકાના એક પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.