વીમા કંપની હાલની મેડિકલ સ્થિતિને આધારે દાવો નકારી શકે નહીંઃ સુપ્રિમ
નવી દિલ્હી, વીમા પોલિસીહોલ્ડર માટેના દરખાસ્ત ફોર્મમાં ઉલ્લેખ કરી હોય તેવી હાલની મેડિકલ સ્થિતિને આધારે વીમા કંપની વીમાના દાવાનો ઇનકાર કરી શકે નહીં. વિમા પોલીસી જારી થઇ ગયા બાદ વીમા કંપનીને દાવાનો ઇનકાર કરવાનો આવો હક નથી, એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.
જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ બી.વી. નાગરથનાની બનેલી ખંડપીઠે એવું પણ જણાવ્યું હતું કે વીમા પોલીસીની દરખાસ્ત કરનાર વ્યક્તિએ તેના જ્ઞાન હેઠળ આવતી તમામ હકીકતો વીમા કંપની સમક્ષ જાહેર કરવી જાેઇએ. દરખાસ્તકર્તા સૂચિત વીમા સંબંધિત તમામ તથ્યો અને સંજાેગોની જાણકારી ધરાવે છે તેવું માની લેવામાં આવે છે.
કોર્ટે જણાવ્યું હતું કે દરખાસ્તકર્તા માત્ર પોતે જાણતા હોય તેની જ માહિતી આપી શકે છે, પરંતુ દરખાસ્તકર્તાની ફરજ માત્ર તેની વાસ્તવિક માહિતી પૂરતી સીમિત નથી, તેમાં એવી નક્કર હકીકતોનો પણ સમાવેશ થાય છે કે જે બિઝનેસના સામાન્ય સંજાેગોમાં જાણકારી મેળવવી આવશ્યક હોય છે.
કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે પોલિસીહોલ્ડરની મેડિકલ સ્થિતિની ચકાસણી કર્યા બાદ પોલીસી જારી થયા બાદ વીમા કંપની એવી હાલની મેડિકલ સ્થિતિને આધારે દાવાનો ઇનકાર કરી ન શકે, કે જેના દરખાસ્ત ફોર્મમાં ઉલ્લેખ થયેલો હોય. રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ (એનસીડીઆરસી)ના એક આદેશ સામેની અરજીની સુનાવણી કરતા સુપ્રિમ કોર્ટે આ આદેશ આપ્યો હતો. મનમોહન નંદાએ અમેરિકામાં થયેલા મેડિકલ ખર્ચના કરેલા દાવાને વીમા કંપનીએ ફગાવી દીધો હતો.
ગ્રાહકો પંચે પણ અરજી ફઘાવી દીધી હતી. નંદાએ ઓવરસીઝ મેડિકલ બિઝનેસ એન્ડ હોલિડે પોલિસી ખરીદી હતી, કારણ કે તેઓ અમેરિકાનો પ્રવાસ કરવા માગતા હતા. સાન ફ્રાન્સિકો એરપોર્ટ પર હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ પછી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને ત્રણ સ્ટેન્ટ નાંખવામાં આવ્યા હતા.