શાહરૂખ-ઐશ્વર્યાના લીધે તૂટી ભણસાલી-ઈસ્માઈલની જોડી ?

મુંબઈ: સંગીતકાર ઈસ્માઈલ દરબારે ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ અને ‘દેવદાસ’માં લોકપ્રિય સંગીત આપ્યું હતું. પરંતુ ત્યારબાદ ઈસ્માઈલ અને ભણસાલીની જોડીએ એક સાથે કામ કર્યું નથી. ત્યારબાદ ભણસાલીએ ‘રામ લીલા’, ‘પદ્માવત’ અને ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મો બનાવી પરંતુ તેમાં મ્યુઝિક ડાયરેક્ટર તરીકે ભણસાલી ન હતા. ઈસ્માઈલ દરબારે સ્વીકાર્યું છે કે તેમના અને ભણસાલી વચ્ચે આ બંને ફિલ્મો દરમિયાન ઈગો ક્લેશ થયો હતો.
પરંતુ તેમની જોડી તૂટવા પાછળ એક કારણ એવું પણ છે જે તેમણે ક્યારેય જાહેર કર્યું નથી. ઈટી ટાઈમ્સ સાથે ખાસ વાતચીતમાં ઈસ્માઈલ દરબારે દાવો કર્યો હતો કે ભણસાલી તેમને દેવદાસ ફિલ્મમાં શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય પર ફિલ્માવવામાં આવેલા ગીત ‘બેરી પિયા’માં કેટલાક ફેરફાર કરવા ઈચ્છતા હતા. જોકે ઈસ્માઈલ ગીતમાં કોઈ ફેરફાર કરવા માટે રાજી ન હતા થયા અને તેમાં ઘણો સમય વેડફાઈ ગયો હતો.
જેના કારણે ભણસાલીને પોતાનો સેટ ફિલ્મ સિટી (ગોરેગાંવ)થી શિફ્ટ કરવો પડ્યો હતો. તેથી ભણસાલીની પ્રતિક્રિયા અલગ હોય તે સમજી શકાય છે અને તે સેટ બદલવા માટે પણ સમાધાન કરે પરંતુ આર્થિક રીતે પણ નુકસાન જાય. ઈસ્માઈલે જણાવ્યું હતું કે, ભણસાલી ‘ડોલા રે’ ગીતથી પણ સંતુષ્ટ ન હતા. હું ‘ડોલા રે’ કે પછી ‘બેરી પિયા’ બંનેમાંથી એક પણ ગીતમાં ફેરફાર કરવા માટે તૈયાર ન હતો. અમારી આ તકરારના કારણે શૂટમાં પણ વિલંબ થયો હતો.
ફિલ્મ સિટીમાં ભણસાલીના બૂકિંગનો સમય પૂરો થઈ ગયો હતો અને પછી તેમને તે ગીતને શૂટ કરવા માટે ફિલ્મ સિટીથી દૂર નવો સેટ બનાવવો પડ્યો હતો. ઈસ્માઈલના જણાવ્યા પ્રમાણે બેરી પિયા ગીતના કેટલાક શૂટ નવા સેટ પર થયા હતા. જોકે, ઈસ્માઈલ દરબારે જણાવ્યું છે કે, ભણસાલી અને હું હજી પણ સારા મિત્રો છીએ અને એકબીજાના સંપર્કમાં પણ છીએ. અમે એકબીજા સાથે દલીલો કરીએ છીએ અને ઝઘડો પણ કરીએ છીએ. અમે બંને ક્રિયેટિવ અને અમારો મત રજૂ કરનારા છીએ. હું તેની મ્યૂઝીક ટીમમાં વાયોલિન વગાડતો હતો અને તેણે મારા માટે તે ગર્વની વાત છે કે તેણે મને તેની કારકિર્દીની બે મહત્વની ફિલ્મોમાં સંગીત આપવાની તક આપી.