શ્રીનગરની શાળામાં બે શિક્ષકોની ગોળી મારીને આતંકી દ્વારા હત્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Shrinagar.jpg)
જમ્મુ, જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જાે રદ્દ કર્યા બાદ કુખ્યાત આઈએસઆઈ ખૂબ જ રઘવાયું થયું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજાે અને કાશ્મીર વેલીમાં ધ રેઝિસ્ટન્સ ફોર્સના નામે આતંકના નવા ચહેરાનો ઉદય સાથે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદનો ખતરનાક ટ્રેન્ડ ચાલું થયો છે. તે છે ટાર્ગેટેડ કિલિંગ.
હવે આતંકીઓના નિશાને નાગરિકો છે અને તે પણ બિન મુસ્લિમ હિંદુ કાશ્મીરી પંડિતો અને શીખ કોમના અથવા તો બહારથી આવીને કાશ્મીરમાં વસેલા લોકો, આ કેટલાક અંશે ૯૦ના દાયકામાં સમગ્ર કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો જન્મ થયો તેના જેવું છે અને વીણી વીણીને કાશ્મીરી પંડિતોની હત્યાઓ કરવાનું શરું થયું હતું.
શ્રીનગરના નામાંકીત કાશ્મીરી પંડિત માખનલાલ બિન્દ્રુની એક ડરપોકની જેમ મોઢું છુપાવીને ઘાત લગાવીને હત્યા કરવાનો મામલો હજુ ઠંડો થયો ન હતો કે ગુરુવારે શ્રીનગરમાં જ શાળાની અંદર બે શિક્ષકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી. છેલ્લા એક સપ્તાહમાં આતંકીઓએ ૭ નાગરિકોની હત્યા કરી છે.
શ્રીનગરના ઇદગાહ સંગમ વિસ્તારમાં આતંકવાદીઓ શાળામાં ઘુસી ગયા અને પ્રિન્સિપલ સતિન્દર કૌર અને શિક્ષક દીપક ચાંદની ગોળી મારીને હત્યા કરી. બંને બાકીના સ્ટાફ સાથે શાળા પરિસરની બહાર બેઠા હતા. ત્યારે જ અચાનક સશસ્ત્ર આતંકવાદીઓ આવ્યા. એક પછી એક શિક્ષકોએ તેમના નામ પૂછ્યા જે બાદ સતીન્દર કૌર અને દીપક ચંદને અલગ કર્યા અને તેમની હત્યા કરી નાખી હતી.
હકીકતમાં ૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જાે રદ થયા બાદ સુરક્ષા દળો પર આતંકવાદી હુમલાની ઘટનાઓ ઘટી છે પરંતુ નાગરિકો પર આતંકવાદી હુમલાઓ વધ્યા છે. બિન-કાશ્મીરી મજૂરોની હત્યાથી શરૂ થયેલો આ આતંકનો ખેલ ભાજપના નેતાઓ, સરપંચો અને છેલ્લે હવે ફરી એકવાર કાશ્મીરી પંડિતોને લક્ષ્ય કરીને હત્યા કરવા સુધી પહોંચ્યો છે.
છેલ્લા ૫ દિવસમાં જ આતંકવાદીઓ દ્વારા ૭ નાગરિકોને ટાર્ગેટ કરીને મારી નાખવામાં આવ્યા છે. બે દિવસ પહેલા મંગળવારે આતંકવાદીઓએ શ્રીનગરના જાણીતા ફાર્માસિસ્ટ માખન લાલ બિન્દ્રુની તેમની દુકાનમાં ગોળી મારીને હત્યા કરી હતી.
૯૦ ના દાયકામાં કાશ્મીરી પંડિતોના સામૂહિક હિજરત બાદ પણ બિન્દ્રુએ શ્રીનગર છોડ્યું ન હતું. મંગળવારે જ આતંકવાદીઓએ બિહારના વિરેન્દ્ર પાસવાન કે જેઓ રેકડી ચલાવીને ગુજરાન ચલાવતા હતાં અને બાંદીપોરા ટેક્સી એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ શફી લોનની પણ હત્યા કરી હતી.
ધ રેઝિસ્ટન્સ ફોર્સ દ્વારા ત્રણેય હત્યાઓની જવાબદારી સ્વીકારવામાં આવી છે, જે પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો નવો મોરચો માનવામાં આવે છે. નાગરિકો અને ખાસ કરીને હિન્દુઓ અને શીખોની ટાર્ગેટ કરીને હત્યા દ્વારા આતંકવાદીઓ ૯૦ ના દાયકાની જેમ જમ્મુ -કાશ્મીરમાં રહેતા લઘુમતીઓમાં ગભરાટ ફેલાવવા માગે છે.
આ વર્ષે અત્યાર સુધીમાં આતંકવાદી હુમલામાં ૨૫ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. આ વર્ષે સૌથી વધુ નાગરિકોના મોત શ્રીનગરમાં ૧૦, પુલવામા અને અનંતનાગમાં ૪-૪, કુલગામમાં ૩, બારામુલ્લામાં ૨, બડગામ અને બાંદીપોરામાં ૧-૧ થયા છે. નોંધનીય છે કે મોટાભાગના કેસો ર્ેટ કરીને કરવામાં આવ્યા છે.
એટલે કે આતંકવાદીઓએ પહેલેથી જ તેમની હત્યા કરવાનું નક્કી કર્યું હતું અને પછી હત્યા કરી હતી. બોમ્બ વિસ્ફોટ જેવી ઘટનાઓમાં આતંકવાદીઓનું લક્ષ્ય શક્ય તેટલા સુરક્ષા કર્મચારીઓ અથવા નાગરિકોને મારવાનું છે, પરંતુ આ કિસ્સાઓમાં હત્યા ટાર્ગેટ પસંદ કર્યા બાદ કરવામાં આવી હતી.
તાલિબાનોએ અફઘાનિસ્તાનની સત્તા સંભાળ્યા પછી જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓની હિંમત વધી છે? બે વર્ષ પહેલા કલમ ૩૭૦ હેઠળ જમ્મુ -કાશ્મીરનો વિશેષ દરજ્જાે નાબૂદ કર્યા બાદથી પાકિસ્તાન ગુસ્સે છે. તેમના ગુસ્સાનું મુખ્ય કારણ એ પણ છે કે ૫ ઓગસ્ટ, ૨૦૧૯ પછી ઘાટીમાં સુરક્ષા દળો પર આતંકવાદી હુમલામાં ઘટાડો થયો છે.
એટલે જ પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સીએ આતંકવાદીઓની ઘૂસણખોરી અને હથિયારોનો પુરવઠો વધાર્યો છે. આતંકવાદીઓ હિન્દુઓ અને શીખોમાં ગભરાટનું વાતાવરણ ઊભું કરવા માટે તેમને ટાર્ગેટ કરીને હત્યા કરી રહ્યા છે.
ગત મહિને જીવતા પકડાયેલા પાકિસ્તાની આતંકવાદી અલી બાબરની કબૂલાતથી પાકિસ્તાનના નાપાક ઈરાદાઓ પણ ખુલ્લા પડ્યા છે. પાકિસ્તાની સેનાએ તેને થોડા રૂપિયાની લાલચ આપીને તાલીમ આપી હતી અને હથિયારોની સપ્લાય માટે તેની ઘુસણખોરી કરાવી હતી. ઉરીમાં એન્કાઉન્ટર બાદ સુરક્ષા દળોએ તેને જીવતો પકડ્યો હતો.
કલમ ૩૭૦ હેઠળ જમ્મુ અને કાશ્મીરને આપવામાં આવેલો વિશેષ દરજ્જાે મોદી સરકારે ૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ નાબૂદ કર્યો હતો. તે પછીથી આતંકવાદીઓએ ધુંઆાપુંઆ થઈને નાગરિકો પર તેમના હુમલાઓની તીવ્રતા વધારી છે. ઓક્ટોબર ૨૦૧૯ માં આતંકવાદીઓએ ૫ બિન-કાશ્મીરી કામદારોની હત્યા કરી હતી. રજા દરમિયાન ઘરે ગયેલા લશ્કર અને પોલીસ કર્મચારીઓ પર પણ હુમલાઓ વધ્યા છે.
આતંકવાદીઓ ગામના સરપંચોને નિશાનો બનાવી રહ્યા છે. ભાજપના નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. જૂન ૨૦૨૦માં કાશ્મીરી પંડિત અજય પંડિતાને અનંતનાગમાં તેમના ઘરમાં ગોળી મારી દેવામાં આવી હતી. તેઓ સરપંચ હતા અને કોંગ્રેસ સાથે જાેડાયેલા હતા. હવે કાશ્મીરી પંડિતો અને બિન-કાશ્મીરીઓ આતંકવાદીઓની યાદીમાં ટોચ પર છે.
જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જાે નાબૂદ કર્યા પછી નાગરિકો કેવી રીતે આતંકવાદીઓના નિશાના હેઠળ આવ્યા છે તેને આંકડા દ્વારા સમજી શકાય છે. ૨૦૧૯ માં જ્યાં ૩૬ નાગરિકો આતંકવાદી હુમલામાં મૃત્યુ પામ્યા હતા. તો સુરક્ષા દળોના ૭૮ જવાનો શહીદ થયા હતા. ૨૦૨૦ માં આતંકવાદી હુમલામાં ૩૩ નાગરિકો માર્યા ગયા અને જ્યારે સુરક્ષા દળોના ૪૬ જવાન શહીદ થયા હતા.
સંસદના છેલ્લા ચોમાસુ સત્ર દરમિયાન ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ૨૦૧૯ ની સરખામણીમાં ૨૦૨૦ માં આતંકવાદી હુમલામાં ૫૯ ટકાનો ઘટાડો થયો છે. જૂન ૨૦૨૧ સુધીમાં ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં આતંકી હુમલામાં ૩૨ ટકાનો ઘટાડો થયો હતો. મંત્રાલયે કહ્યું કે ૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ કલમ ૩૭૦ નાબૂદ કર્યા બાદ ઓગસ્ટ ૨૦૨૧ સુધી આતંકવાદી હુમલામાં કુલ ૫૯ નાગરિકોના મોત થયા હતા. આ સિવાય ૧૬૮ નાગરિકો ઘાયલ થયા છે.SSS