સંતરામપુરમાં પ્રતાપપુરા વિસ્તારમાં વેપારીઓના એન્ટીજન રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા

લુણાવાડા: કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર શ્રી આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા- તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરત પણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.
આમ છતાં પણ હજુ નાગરિકો તેને ગંભીરતાથી નથી લઇ રહ્યા જેથી નાગરિકોમાં ગંભીરતા આવે અને તેઓમાં જાગૃતિ આવે તેમજ કોરોના વાયરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય તે હેતુથી મહીસાગર જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા ધનિષ્ઠ કામગીરી હાથ ધરવામાં આવી છે.
જેના ભાગરૂપે સંતરામપુરના પ્રતાપપુરા વિસ્તારમાં તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આરોગ્યની ટીમ દ્વારા ૭૦ વેપારીઓના એન્ટીજન રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામના રીપોર્ટ નેગેટીવ આવતાં વેપારીઓને ગ્રીન કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આ ટીમ દ્વારા દરેક દુકાનદારો અને શાકભાજીનો વ્યવસાય કરતાં વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્કની ઉપયોગીતા અને સેનેટાઇઝરના ઉપયોગ વિશે તેમજ માસ્ક પહેર્યા વગર આવતા ગ્રાહકોને માલ ન આપવા તેમજ દુકાનમાં-લારી પર સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તે જોવા અને નાગરિકોને પણ માસ્ક પહેર્યા વગર બહાર ન નીકળવા, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા અને વારંવાર સાબુથી કે હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરી હાથ ધોવા અંગે સમજ આપવામાં આવી હતી.