સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીમાં રશિયા-યુક્રેન યુદ્ધની ચર્ચા કરાઇ
નવીદિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે ગુરુવારે આઠમા દિવસે યુદ્ધ ચાલુ રહ્યું. દરમિયાન, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી ફરીથી યુદ્ધના મુદ્દા પર મળી, જેમાં રશિયા વિરુદ્ધ ઠરાવ લાવવામાં આવ્યો. જેમાં રશિયાને યુક્રેનમાંથી પોતાની સેના હટાવવાનું કહેવામાં આવ્યું છે.
યુએનજીએમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો પરંતુ પાંચ દેશો (રશિયા સહિત) તેની વિરુદ્ધ હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આ ચાર દેશોને રશિયાના મિત્ર ગણાવ્યા છે.
૧૯૩ સભ્યોની યુએન જનરલ એસેમ્બલીએ રશિયન હુમલાની નિંદા કરી અને સેનાને પાછી ખેંચવાની હાકલ કરી. આ મુદ્દે મતદાન પણ થયું હતું, જેમાં ભારતે ભાગ લીધો ન હતો. યુક્રેન વિરુદ્ધ આક્રમકતા નામના પ્રસ્તાવ પર યુએનના ૯૪ સભ્યો બોલ્યા. તેમાંથી ૧૪૧ સભ્યો સૈન્ય પાછા ખેંચવાના સમર્થનમાં હતા. જ્યારે ૩૪એ મતદાન કર્યું ન હતું. આ સિવાય પાંચ દેશોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.
રશિયા ઉપરાંત બેલારુસ, ઈરીટ્રિયા, ઉત્તર કોરિયા અને સીરિયાએ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કર્યું હતું. આના પર રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીનું નિવેદન પણ આવ્યું છે.
તેણે કહ્યું કે રશિયા પાસે આ ચાર સિવાય કોઈ મિત્ર બાકી નથી.લગભગ ૧૦૦ દેશોએ આ પ્રસ્તાવને સહ-પ્રાયોજિત કર્યો. યુક્રેન અને અમેરિકા ઉપરાંત, તેમાં અફઘાનિસ્તાન, અલ્બેનિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇઝરાયેલ, ઇટાલી, જાપાન, કુવૈત, મ્યાનમાર, સિંગાપોર, સ્વિટ્ઝર્લેન્ડ, યુનાઇટેડ કિંગડમનો સમાવેશ થાય છે.
રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતે તટસ્થ વલણ અપનાવ્યું છે. ભારત તરફથી પહેલા જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અમારી પ્રાથમિકતા યુક્રેનમાં ફસાયેલા ભારતીય લોકો અને વિદ્યાર્થીઓને બહાર કાઢવાની છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે ભારત યુદ્ધવિરામનું સમર્થન કરે છે. આ સાથે તેણે યુક્રેનના પડોશી દેશોનો આભાર માન્યો હતો કે તેણે તેને સરહદ પાર કરવાની મંજૂરી આપી. યુએનમાં ભારતે કહ્યું કે મતભેદો માત્ર વાતચીત અને કૂટનીતિથી જ ઉકેલી શકાય છે.HS