Western Times News

Gujarati News

સગીરાનું જીવન બગાડનાર નરાધમને સાત વર્ષની સજા

Files Photo

અમદાવાદ: રામોલમાં ૮ વર્ષીય બાળકીને ધાબે લઇ દુષ્કર્મ કરનાર ૨૨ વર્ષીય પ્રમોદ વર્માને એડિ.સેશન્સ જજ પી.સી.ચૌહાણે દોષિત ઠરાવી ૭ વર્ષની સખત કેદ અને રૂ.૩ હજાર દંડનો આદેશ કર્યો છે. ફરિયાદી પતિ-પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર પ્રમોદના પિતા રામવીર વર્માને ૨ માસની સજા ફટકારી છે. કોર્ટે ભોગ બનનાર બાળકીને ૧ લાખ વળતર પેટે ચુકવવાનો નિર્દેશ કર્યો છે.

રામોલમાં રહેતા પ્રમોદ વર્માએ ૧૫ નવેમ્બર ૨૦૧૬ના રોજ સાંજે પાડોશમાં રહેતી ૮ વર્ષીય બાળકીને ધાબે લઇ જઇને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં ગભરાયેલી બાળકીએ પોતાના માતા-પિતાને આ અંગેની જાણ કરવાનું કહેતાં આરોપીએ તેને અને તેના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાલ્યાવસ્થામાં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ભોગ બનેલી બાળકી ગુમસૂમ રહેતી હોવાથી માતાએ તેને પૂછતાં બાળકીએ સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

આથી બાળકીના માતા-પિતા પ્રમોદના ઘરે ગયા, તો પ્રમોદ અને રામવીરે પોલીસમાં જાણ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાળકીની માતાએ આરોપી પિતા-પુત્ર વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

રામોલ પોલીસે આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું. આ કેસ ચાલી જતાં સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓ તપાસી આરોપીને સખતમાં સખત સજા ફટકારવાની રજૂઆત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.