સફાઇ કર્મયોગીઓ માટે ઓળખ કાર્ડ અને યુનિફોર્મ આપવાની ભલામણ

(પ્રતિનિધિ) ગાંધીનગર, ગાંધીનગર મહાનગર પાલિકાના કોન્ટ્રોકટ પરના સફાઇ કામદારો છેલ્લા વીસ દિવસથી વધુ સમયથી હડતાલ પર હતા. સફાઇ કર્મયોગીઓની પોલિસી સિવાયની તમામ બાબતોનો સંતોષકારક ઉકેલ આવતા હડતાલ પાછી ખેંચી લીધી છે. સર્વ સફાઇ કર્મયોગીઓ મહાનગરપાલિકાની ડિઝીટલ ધડિયાળ પહેરીને જ પોતાની ફરજ બજાવશે, તેવું આજરોજ ગાંધીનગર ખાતે યોજાયેલ બેઠક બાદ રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના સદસ્ય શ્રીમતી અંજના પવારે જણાવ્યું હતું.
ગાંધીનગરના સરકીટ હાઉસ ખાતે આજરોજ રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના સદસ્ય શ્રીમતી અંજના પવારના અધ્યક્ષ સ્થાને સફાઇ કામદારોના પ્રશ્નોની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠક સફાઇ કામદારના વિવિધ મંડળના આગેવાનો અને જિલ્લાના અધિકારીશ્રીઓ ઉપસ્થિતિમાં રહ્યા હતા.
આ બેઠકમાં ગાંધીનગર મહાનગરપાલિકાના કોન્ટ્રાકટ ઉપર કામ કરતા સફાઇ કર્મચારીઓની વિવિધ પ્રશ્નોની રજૂઆતને સદસ્યશ્રીએ સંભાળી હતી. તેમજ આ અંગે તેમની ઉપસ્થિતિમાં જ ગાંધીનગર જિલ્લા કલેટકર ર્ડા. કુલદીપ આર્ય, મહાનગરપાલિકાના કમિશનર ર્ડા. ધવલ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા- ર્વિમશ કર્યો હતો.
માંગણીના પ્રશ્નનો સાચો તાગ મેળવ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, કર્મચારીઓને કાયમી કરવાની માંગ એ સરકારની પોલિસી મેટર છે. તેમજ ડિઝીટલ ધડિયાળ માત્ર આપની કાર્ય સ્થળની ઉપસ્થિતિ માટે જ છે. પોલિસી મેટર અંગે રાજય સરકારનું યોગ્ય ધ્યાન દોરવામાં આવશે. તેમજ સફાઇ કોન્ટ્રાકટર દ્વારા કોઇ કર્મચાચરીઓનો પગાર કાપવામાં નહિ આવે.