સરદાર સરોવર ડેમ માંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે

(વિરલ રાણા) ભરૂચ, સરદાર સરોવર ડેમ માંથી નર્મદા નદી માં ૯.૨૨ લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે.જેના પગલે ભરૂચ અને અંકલેશ્વર ની મધ્ય માંથી પસાર થતી નર્મદા નદી તેની ભયજનક સપાટી વટાવી ૨૬ ફૂટની સપાટી ઉપર થી વહી રહી છે.જેના પગલે નર્મદા નદી બે કાંઠે જોવ મળી રહી છે.નદી માં પાણીનો પ્રવાહ સતત વહેતો રહેવાના પગલે ભરૂચ શહેરના ગોલ્ડનબ્રીજ નજીક ની ઝુપડપટ્ટી,ભાગાકોટ ઓવરા, ફુરજા,બહુચરાજી ઓવરા સહિતના નીચાણવાળા વિસ્તારો તેમજ અંકલેશ્વરના ખાલપીયા અને સફરૂદ્દીન ગામને હાઈ એલર્ટ કરાયા હતા.આ સાથે જીલ્લાના ૨૯ ગામો એલર્ટ પર છે.શુક્લતીર્થ-કડોદ ગામના પાદર સુધી નદીના પાણી પહોંચી ગયા હતા.જેથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
નર્મદા કાંઠાના ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થતા રાહત બચાવ કામગીરી માટે ભરૂચ નગર પાલિકા ની ફાયર ફાઈટર ની ટિમ સહિત,વહીવટી તંત્ર અને એનડીઆરએફની ટીમ તૈનાત છે.તો બીજી તરફ રવિવાર ની રજા ન પગલે નર્મદા ને બે કાંઠે વહેતી જોવા માટે લોકોના ટાવર વિસ્તાર નજીક ટોળા એકઠા થયા હતા જેના પગલે ભરૂચ પોલીસ દ્વારા કાફલો તહેનાત કરવામાં આવ્યો હતો અને લોકો ને નીચે જતા અટકાવ્યા હતા.
મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નદીઓના પાણીની સ્તરમાં વધારો નોંધાયો છે.હોશંગાબાદમાં પુરની સ્થિતિ સર્જાય છે.અહિં હજુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે એમપીના ૧૮ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.જેના કારણે સતત સરદાર સરોવરમાં પાણીની આવક ચાલુ રહેશે.જેના સંદર્ભે ભરૂચ જીલ્લાના નર્મદા કાંઠાના ગામો પાસે પાણીનું સ્તર હજુ પણ વધવાની શક્યતાના પગલે ભરૂચ વહીવટી તંત્ર અને પોલીસ ખડે પગે છે.
ભરૂચના કડોદ ગામથી ૧૦૦ મીટરની દૂરી પર જ નર્મદા નદી હોવાના કારણે પાણી ફરી વળ્યા છે. જ્યારે શુક્લતીર્થ ખાતે વહેલી સવારથી જ પાણી ઘૂસવાનું શરૂ થઈ ગયું હતું.હાલ પાણી છોડવામાં વધારો કરવામાં આવતા નર્મદા નદીની સપાટી માં સતત વધારો થઈ રહ્યો છે.જેના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.તો નદી કાંઠા નજીક આવેલા ખેતરોમાં પાણી ધુસતા ખેતી ને પણ નુકશાન પહોંચ્યું છે.
નર્મદા ડેમ માંથી પાણી છોડવામાં આવતા નર્મદાની વધતી જળ સપાટી સામે જીલ્લા કલેક્ટર ડો. એમ.ડી.મોડિયાના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર સજ્જ બનેલ છે.પૂર નિયંત્રણ કક્ષ માંથી મળેલ માહિતી અનુસાર ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે ૧ કલાકે પાણીની સપાટી ૨૫.૫૦ ફૂટે પહોંચી હતી.
ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની વધતી જતી જળ સપાટીને કારણે જીલ્લાના કુલ ૨૦૧૩ વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.જેમાં ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારના ૮૯૦, મંગલેશ્વર ગામ માંથી ૨૭, નિકોરા ૧૩૭, શુકલતીર્થ ૫૬, કડોદ બેટ ૩૨, તવરા બેટ ૧૬૦ તો અંકલેશ્વરના સરફુદ્દીન ૧૫૭, ધંતુરીયા ૩૨, બોરભાઠા બેટ ૫૮, જુના હરીપુરા ૩૪, કાંસીયા ૪૯, છાપરા ૫૬,સક્કરપોર-ખાલપીયા ૭૨ અને ઝઘડિયા પોરા ૭૦, પટાર ૪૨, ટોઠીદરા ૩૨,તરસાલી ૪૫, ઓરા ૩૭,જરસાડ ૨૭ મળી કુલ ૨૦૧૩ વ્યક્તિઓને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલ છે.