સાબરકાંઠાના ૯,૦૦૦થી વધુ દિવ્યાંગો એસ.ટી.બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે

પ્રતિકાત્મક
જિલ્લાના કુલ ૧૧૯૫ દિવ્યાંગ લાભાર્થીઓને ૬૨ લાખની સહાય ચૂકવવામાં આવી
હિંમતનગર, રાજ્ય સરકાર દિવ્યાંગો પોતાના પગભર બને અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા યોજનાઓને અમલી બનાવી છે. આ યોજનાઓ અંતર્ગત સાબરકાંઠાના દિવ્યાંગ વ્યક્તિઓને જુદી જુદી આર્થિક અને ભૌતિક સહાય આપવામાં આવી છે.
સાબરકાંઠામાં શારીરિક ખોડ ખાંપણ વિષયક ખામી ધરાવતી વ્યક્તિ, અંધ, બહેરા-મુંગા અને મંદબુદ્ધિવાળા કુલ ૯૬૪૧ વ્યક્તિઓ દિવ્યાંગ બસ મુસાફરી ઓળખપત્ર થકી મન ફાવતી બસમાં મુસાફરીનો લાભ લઈ રહ્યાં છે જ્યારે ઈન્દિરા ગાંધી નેશનલ ડીસેબીલીટી પેન્શન યોજના અને સંત સુરદાસ સહાય યોજના અંતર્ગત ૮૦ ટકા દિવ્યાંગતા ધરાવતા અને ગરીબી રેખા નીચે જીવન જીવતા જિલ્લાના કુલ ૧૧૯૫ દિવ્યાંગ લાભાર્થીઓને રૂા.૬૨૮૮૦૦૦ની સહાય ચૂકવવામાં આવી છે.
જિલ્લામાં બૌદ્ધિક અસમર્થતા ધરાવતા કુલ ૭૫૯ મનોદિવ્યાંગ લાભાર્થીઓને ચાલુ વર્ષમાં રૂા.૪,૩૩,૧૦૦૦ની સહાય આપવામાં આવી છે. દિવ્યાંગોને કૃત્રિમ અવયવો બેસાડવા તથા શૈક્ષણિક અને ધંધાકીય રીતે ઉપયોગી થાય તેવા સાધનો અનેક લોકોને પુરા પાડી તેમનો શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુનઃ સ્થાપન થાય તે હેતુથી દિવ્યાંગજનોને સાધન સહાય યોજના અંતર્ગત સાબરકાંઠામાં છેલ્લા વર્ષ દરમિયાન ૧૨૪ લાભાર્થીઓને રૂા.૫૬૭૦૦૦ના સાધન સહાય પુરી પડાઈ છે.
ચાલુ વર્ષે કુલ ૧૪૫ લાભાર્થીઓને રૂા.૮૧૦૦૦ની સાધન સહાય અપાઈ છે. સહાય થકી ધાર્મિક ઉપાર્જનમાં સહાયરૂપ બનશે તેમજ શાળા-કોલેજમાં અભ્યાસ કરતાં ૪૯૬ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રૂા.૫૮૧૦૦૦ની શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવેલ છે. દિવ્યાંગ લગ્ન સહાય હેઠળ જિલ્લામાં ૩૮ દિવ્યાંગ લાભાર્થીઓને રૂા.૧૯૦૦૦૦૦ સહાય પુરી પડાઈ છે.
સાબરકાંઠા જિલ્લામાં દિવ્યાંગ લાભાર્થીઓ માટે યુ.ડી.આઈ.ડી.કાર્ડ પ્રોજેક્ટ હેઠળ ૧૨૪૮૭ યુ.ડી.આઈ.ડી.કાર્ડ જનરેટ કરાયા છે. જેનાથી તેમની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી શકે. દિવ્યાંગોના જીવનમાં એક નવો ઉજાસ પથરાય અને તેઓ સમાજમાં માનભેર જીવન જીવી શકે તેવા ઉજળા અવસર રાજ્ય સરકાર પુરા પાડી રહી છે.