સાયન્સની શાળામાં ૯૪%એ એડમિશન અટકી શકે છે

Files Photo
અમદાવાદ: શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરી દીધા બાદ હવે ૧૧મા ધોરણમાં સાયન્સમાં પ્રવેશ માટે અમદાવાદ શહેરમાં મારામારી સર્જાઈ શકે છે. ધોરણ ૧૧ સાયન્સમાં આ વખતે મેરિટ ૧૦ ટકા જેટલું ઊંચુ જશે તેવી શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. જ્યારે શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલોમાં તો પ્રવેશ માટે ભારે ધસારો જાેવા મળશે. આ વખતે બોર્ડમાં ૮૧ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ગુણ લાવનારા વિદ્યાર્થીઓનો રાફડો ફાટ્યો હોવાથી શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલોમાં વિજ્ઞાન પ્રવાહ માટે મેરિટ ૯૪ ટકાની આસપાસ અટકી શકે છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ૮૦ ટકા ગુણ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૬,૮૨૮નો વધારો થયો છે. ધોરણ ૧૦નું પરિણામ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયા બાદ વિદ્યાર્થીઓની નજર ધોરણ ૧૧ સાયન્સના પ્રવેશ પર ચોંટેલી છે. ૧૧મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશની મારામારી સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આ વખતે એ-૧ ગ્રેડ અને એ-૨ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધારે છે.
જેથી આ તમામ વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ સાયન્સ હોવાથી અમદાવાદ શહેરમાં સાયન્સની સ્કૂલો અને તેમાં પણ પ્રતિષ્ઠિત સ્કૂલોમાં ભારે ધસારો થશે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો, રાજ્યમાં એ-૧ ગ્રેડમાં ૮૮૧ અને એ-૨ ગ્રેડમાં ૪,૭૯૨ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ, બંને ગ્રેડના મળીને કુલ ૫,૬૭૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે ગત વર્ષે એ-૧ ગ્રેડમાં ૧૧૩ અને એ-૨ ગ્રેડમાં ૨,૦૩૪ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ, બંને ગ્રેડના મળીને ગત વર્ષે કુલ ૨,૧૪૭ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૩,૫૨૬ વિદ્યાર્થીઓ વધુ પાસ થયા છે.
અમદાવાદ ગ્રામ્યની વાત કરીએ તો, આ વખતે એ-૧ ગ્રેડમાં ૧,૧૫૮ અને એ-૨ ગ્રેડમાં ૩,૭૮૬ મળીને કુલ ૪,૯૪૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વર્ષે એ-૧ ગ્રેડમાં ૧૦૪ અને એ-૨ ગ્રેડમાં ૧,૫૩૮ મળીને કુલ ૧,૬૪૨ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ, બંને ગ્રેડના મળીને કુલ ૩,૩૦૨ વિદ્યાર્થીઓ વધુ પાસ થયા છે.