Western Times News

Gujarati News

સિંગતેલના ભાવ ત્રણ દિવસમાં જ આસમાને પહોંચી ગયા

રાજકોટ, ગુજરાતમાં હવે શ્રાવણ મહિનાથી તહેવારોની સીઝન શરૂ થતી હોય છે. તે છેક દિવાળી સુધી ચાલતી હોય છે. એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ તહેવારો. આવામાં વચ્ચે ભીંસાતા નાગરિકો. તેમાં પણ મોંઘવારીએ નાગરિકોના નાકમાં દમ કરી દીધો છે.

આવામાં તહેવારો પર જ સિંગતેલના ભાવ સળગ્યા છે. સિંગતેલમાં વધુ ૨૦ રૂપિયાનો ઉછાળો આવ્યો છે. આમ, ત્રણ દિવસમાં જ સિંગતેલના ભાવમાં રૂપિયા ૨૦નો વધારો થયો છે. રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે.

ત્રણ દિવસમાં સિંગતેલમાં ડબ્બે ૨૦ રૂપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલમાં ડબ્બે ૪૦ રૂપિયાનો વધારો થયો છે. તો પામોલીન તેલમાં બે દિવસમાં રૂપિયા ૧૫ નો વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલનો ડબ્બો રૂ. ૨૩૬૫ થી ૨૪૧૫ના ભાવે વેચાતો હતો, જે ભાવ વધી ૨૪૦૫ થી ૨૪૫૫ રૂપિયા થયો છે. તો સિંગતેલના ડબ્બામાં રૂપિયા ૨૦ વધતા ૨૫૩૫ થી લઈ ૨૫૮૫ રૂપિયા સુધીના સોદા થયા છે.

માર્કેટ યાર્ડમાં મગફળીનો મણનો ભાવ ૧૧૫૦ થી ૧૪૦૦ રૂપિયા જ્યારે કપાસનો મણનો ભાવ ૧૦૦૦ થી ૧૩૦૦ રૂપિયામાં સોદા થયા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં તેલના ભાવ ભડકે બળી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કપાસિયા તેલ પણ સિંગતેલની લગોલગ આવી ગયું છે. આ કારણે લોકોના ખિસ્સા પર તેની ભારે અસર આવી રહી છે.

આમ છતાં આ ભાવને કાબૂમાં કરવા માટે પુરવઠા તંત્ર પાસે કોઇ જ રસ્તો નથી અને માત્ર પ્રાઈઝ મોનિટરિંગ સિસ્ટમ પર નજર રાખી હોવાનું ગાણુ અધિકારીઓ ગાઈ રહ્યા છે. આ પ્રાઈઝ મોનિટરિંગ સિસ્ટમમાં પુરવઠા તંત્ર રાજ્યના તમામ શહેર અને જિલ્લાઓમાંથી દરરોજ ૩૨ વસ્તુઓ કે જેને આવશ્યક ચીજવસ્તુની શ્રેણીમાં મુકી છે તેના છૂટક અને હોલસેલ ભાવ નોંધાય છે.

રાજ્યના પુરવઠા વિભાગે ટેકાના ભાવે મગફળી અને કપાસની ખરીદી કરી છે જેના ગોડાઉન ભર્યા છે. આ માલ પર અલગ અલગ ખર્ચ સહિત નાફેડ વેચવા સમયાંતરે પ્રયત્ન કરે છે. જાે કે આ ભાવ ઊંચા પડે છે તેમ કહીને ખરીદી કરાતી નથી અને તેલના ભાવ વધી રહ્યા છે. આ રીતે ભાવ વધારો કરીને નાફેડના ગોડાઉનની મગફળી પણ સસ્તાભાવે લેવાનો પ્રયાસ કરવા ઘણા તત્વોએ પ્રયત્નો શરૂ કરી દીધા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.