સિદ્ધપુરના ઠાકોરવાસમાં ૩ માસથી ડહોળું પાણી આવતાં રહીશોમાં રોષ
પાટણ, સિદ્ધપુરમાં આવેલ પસવાદળની પોળ, વોર્ડ નં.૪માં આવેલ ઠાકોરવાસ વિસ્તારમાં ૩ મહિનાથી ડહોળું પાણી આવી રહ્યું હોવાની બુમ ઉઠવા પામી છે. તેને લઈને સ્થાનિક મહિલાઓએ તે વિસ્તારના કોર્પોરેટર પાલિકા પ્રમુખને રજુઆત કરી છે.
સિદ્ધપુર શહેરમાં આવેલ પસવાદળની પોળ, વોર્ડ નંબર-૪માં આવેલ ઠાકોરવાસ વિસ્તારમાં ૧૦૦ પરિવારના રહીશોએ કોર્પોરેટર તેમજ તંત્ર પર આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, છેલ્લા ૩ મહિનાથી વિસ્તારમાં ડહોળું પાણી પીવા મજબુર બન્યા છે જેના કારણે તે વિસ્તારના લોકોનું આરોગ્ય બગડયું છે. ઝાડા, ઉલ્ટી અને તાવ સહિતની બીમારીઓનો ભોગ બને છે.
આ વિસ્તારના કોર્પોરેટરોએ રજુઆતો કરી હતી. આ રજુઆત ધ્યાને લઈને સત્વરે ડહોળું પાણી નિકાલ કરીને સ્વચ્છ પાણી ન આવે તો આગામી દિવસોમાં વિસ્તારની મહિલાઓ પાલિકા જઈને ઉગ્ર રજુઆત કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
પાલિકા, એન્જિનિયર વિનોદભાઈ પટણીએ જણાવ્યું કે વોર્ડ નં.૪, ઠાકોરવાસ વિસ્તાર ખૂબ જ મોટો છે તેમજ સમગ્ર વિસ્તાર આરસીસી રોડ બનેલ છે એટલે લીકેજની ચોકકસ જગ્યાનો ખ્યાલ આવતો નથી એટલે તે વિસ્તારમાં ઠેરઠેર ખાડા ખોદીને ડેમેજ પાણીની પાઈપ લાઈનની શોધખોળની કામગીરી ચાલુ છે.