સીએએ અને એનપીઆર મુદ્દે કાકા શરદ અને ભત્રીજા અજીત આમને સામને!
મુંબઈ, મહારાષ્ટ્રમાં નાગરિકતા કાયદો અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને લઈને અજીત પવાર અને શરદ પવાર વચ્ચે વિખવાદ વધી ગયો હોય તેવું લાગે છે. અજીત પવાર ખુલીને નાગરિકતા કાયદાના સમર્થનમાં આવ્યાં છે. જ્યારે તેમના કાકા આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે. અજીત પવારનું કહેવું છે કે આ કાયદાથી કોઈની નાગરિકતા જવાની નથી.
નાયબ મુખ્યમંત્રી અજીત પવારને લઈને કોંગ્રેસે પણ મોટો આંચકો આપ્યો છે. અજીતે સીએએ અને એનપીઆરને લઈને વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરવાની માગણીને બાજુમાં હડસેલી દીધી છે. મુંબઈમાં પાર્ટી કાર્યકરોને સંબોધન કરતા તેમણે કહ્યું કે આ કાયદાથી કોઈએ ગભરાવવાની જરૂર નથી. જે લોકો તેને લઈને ભ્રમની સ્થિતિ પેદા કરવા લાગ્યા છે તેમણે તેમની વાતોમાં આવવાની જરૂર નથી.
એનસીપીની પાર્ટી બેઠક મિશન મુંબઈના મંચથી પવારે કહ્યું કે સીએએ અને એનપીઆરથી કોઈની નાગરિકતા જવાની નથી. શરદ પવારજીએ પણ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં અમે કોઈને પરેશાન થવા દઈશું નહીં. આમ છતાં કેટલાક લોકો કહે છે કે બિહારની વિધાનસભામાં જે પ્રસ્તાવ પાસ થયો છે તે અહીં પણ થાય. આ બધાની કોઈ જરૂર નથી. કેટલાક લોકો તેને લઈને ભ્રમ ફેલાવી રહ્યાં છે. આપણે સજાગ રહીને સમાજમાં જાગરૂકતા ફેલાવવી જોઈએ.
એનસીપી હાલ ૨૦૨૨ બીએમસી ચૂંટણી માટે એકજૂથ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે અત્યારથી પાર્ટી પોતાનો જનાધાર રાજ્યાના શહેરી વિસ્તારોમાં વધારવાની કોશિશમાં છે. અજીત પવારે કહ્યું કે એનસીપી મુંબઈ નગર નિગમની ચૂંટણીમાં શિવસેના અને કોંગ્રેસ સાથે મળીને લડવાની તૈયારીમાં છે. એનસીપી તરફથી કોશિશ થઈ રહી છે કે શહેરમાં એનસીપીને મજબુત કરાય.
કાર્યકરોની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ડેપ્યુટી સીએમ અજીત પવારે શિવસેના સાથે ગઠબંધનમાં બીએમસી ચૂંટણી લડવાની વાત કરી છે. ૨૦૧૭માં થયેલી બીએમસી ચૂંટણીમાં એનસીપીનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું હતું. શહેરની ૨૨૭ બેઠકોમાંથી પાર્ટીને ફક્ત ૯ બેઠકો મળી હતી. ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન તૂટ્યા બાદ એનસીપીની નજર શહેરમાં ભાજપની બેઠકો પર છે.