સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા અને પાટડીમાં નવો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાને લગતા કેસોમાં ચિંતાજનક વધારો જાેવા મળતા લોકોમાં ચિંતાની લાગણી ફેલાવા પામી છે. એક બાજુ લોકો કોરોનાનાં કહેરથી બચવા મોંઢા પર ફરજીયાત માસ્ક અને વારંવાર સેનેટાઇઝરનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે કોરોના ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરી રહ્યાં છે.
બીજી બાજુ આરોગ્ય તંત્રએ ૧૫થી ૧૮ વર્ષનાં બાળકોને કોરોના રસિકરણ પર ભાર મૂકી કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ આરોગ્ય વિભાગ દ્વારા ૬૦ વર્ષથી વધુ ઉંમરનાં લોકોને અને ફ્રન્ટ લાઇન વર્કરોને કોરોનાનો બૂસ્ટર ડોઝ આપવાની કાર્યવાહી યુધ્ધનાં ધોરણે હાથ ધરી છે. તમ છતા કેટલાક લોકો કોરોના ગાઇડલાઇનનું બિલ્કુલ પાલન ન કરવાની સાથે કોરોનાને વણમાંગ્યુ નોંતરૂ આપી રહ્યા છે.
ત્યારે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં ચોટીલા અને પાટડી પથંકમાં કોરોનાની ઝપટમાં અનેક લોકો આવી ગયા હતા. અને ઓક્સિજન લેવલ ઘટી જવાના લીધે અનેક લોકો અકાળે મોતને ભેંટવાના બનાવો પણ સામે આવ્યા હતા. આથી આ બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પાટડી અને ચોટીલા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે નવો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો હતો.
પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ડો.શ્યામલાલ રામની હાજરીમાં નાયબ કલેક્ટર રૂતુરાજસિંહ જાદવ, નાયબ મામલતદાર રઘુભાઇ ખાંભલા, તાલુકા પંચાયતનાં પ્રમુખ પ્રકાશભાઇ ડોડીયા, નગરપાલિકાનાં કારોબારી ચેરમેન ચેતનભાઇ શેઠ, પ્રફુલભાઇ દવે, દિલાભાઇ ઠાકોર, ભરતભાઇ ઠાકોર અને નવઘણભાઇ રબારી સહિતના આગેવાનોએ આ નવા ઓક્સિજન પ્લાન્ટની મુલાકાત લઇ ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકારી હોસ્પિટલની તૈયારીની સમીક્ષા કરી હતી.
જ્યારે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતેનાં નવા ઓક્સિજન પ્લાન્ટની મુલાકાતે જિલ્લા ભાજપનાં ઉપ પ્રમુખ મેરૂભાઇ ખાચર, ગુજરાત પ્રદેશ યુવા ભાજપ મંત્રી જયભાઇ શાહ, ભાજપ અગ્રણી નરેશભાઇ મારૂ સહિતનાં આગેવાનોએ મુલાકાત લીધી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા અને પાટડીમાં નવો ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાતા કોરોનાનાં વધતા જતા કહેર સામે લોકોએ રાહતનો દમ લીધો હતો.HS