સુશાંત આત્મહત્યા કેસમાં પોલીસ સલમાન ખાનની પૂછપરછ કરશે ?

મુંબઈ: સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પોલીસની તપાસ સતત ચાલી રહી છે. જે અંતર્ગત અનેક લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં પોલીસ પણ સલમાન ખાનની પૂછપરછ કરશે તેવા સમાચાર હતા.
દિવંગત બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને એક મહિનાનો સમય વીતી ગયો છે. પરંતુ તેની આત્મહત્યાના કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે. અત્યાર સુધી અભિનેતાના પરિવારના સભ્યોથી લઈને ફિલ્મ ઉદ્યોગ સુધી લગભગ ૩૫થી ૪૦ નિવેદનો નોંધવામાં આવ્યા છે.
આ દરમિયાન એવા સમાચાર પણ આવી રહ્યાં હતા કે, આ કિસ્સામાં પોલીસ સલમાન ખાનની પણ પૂછપરછ કરશે. મુંબઈ પોલીસે નિવેદન આપવાનું ટાળ્યું હતું. થોડા સમય પહેલા સલમાન ખાનની પૂર્વ મેનેજર રેશ્મા શેટ્ટીની પણ પોલીસે પૂછપરછ કરી હતી. એવા અહેવાલો પણ મળી રહ્યાં છે કે, અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં એક મહિના સુધી તપાસ કર્યા બાદ પોલીસ હવે અંતિમ પરિણામ પર પહોંચી ગઈ છે.
આ કેસની નજીકના પોલીસ સૂત્રોએ મીડિયાને માહિતી આપી છે કે, સુશાંતના મામલાની પૂછપરછ અને તબીબી કાર્યવાહી બાદ પોલીસે તેમની તપાસ પૂર્ણ કરી લીધી છે અને તેઓ આગામી ૧૦ થી ૧૫ દિવસમાં આ સમગ્ર કેસનો અંતિમ અહેવાલ રજૂ કરશે. જાે કે, સુશાંતના ઘણા ચાહકો શરૂઆતથી જ આ મામલે સીબીઆઈ તપાસ કરવા માગે છે. પૂર્વ સાંસદ પપ્પુ યાદવે ગૃહ મંત્રાલયને પત્ર લખીને સીબીઆઈ તપાસની માંગ કરી હતી. પત્રની નોંધ લેતા ગૃહમંત્રી અમિત શાહ વતી પપ્પુ યાદવને જવાબ મોકલવામાં આવ્યો હતો. ગૃહમંત્રીએ આ પત્ર કાર્યવાહી માટે મૂક્યો છે. પપ્પુ યાદવના જવાબમાં અમિત શાહે કહ્યું છે કે, આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.