સેનાની ત્રણેય પાંખના પ્રમુખોને સાથે નરેન્દ્ર મોદીએ બેઠક યોજી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/01/narendra-modi.jpg)
અગ્નિપથ યોજના પર ચર્ચા કરવામાં આવી
નવી દિલ્હી, સેનાની ત્રણેય પાંખના પ્રમુખો સાથે આજે પીએમ નરેન્દ્ર મોદીએ અલગ-અલગ બેઠક યોજી છે. પ્રધાનમંત્રી આવાસ પર યોજાયેલી આ બેઠકમમાં અગ્નિપથ યોજનાને લઈને ચર્ચા થઈ છે. થલસેના પ્રમુખ જનરલ મનોજ પાંડે, નૌસેના પ્રમુખ એડમિરલ આર હરિ કુમાર અને વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વી આર ચૌધરીની સાથે બેઠક થઈ છે.
સૌથી પહેલા નૌસેના પ્રમુખ એડમિરલ આર હરિ કુમાર પીએમ મોદીના આવાસ પર પહોંચ્યા હતા. નૌસેના પ્રમુખ સાથે મુલાકાત પૂરી થયા બાદ વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વી આર ચૌધરીની મુલાકાત થઈ અને અંતમાં થલસેના પ્રમુખ મનોજ પાંડેએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. સીન્યોરિટી એટલે કે વરિષ્ઠતા પ્રમાણે એક બાદ એક બેઠક થઈ હતી. ત્રણેય સેના પ્રમુખોમાં એડમિરલ હરિ કુમાર સૌથી સીનિયર છે. જનરલ પાંડે ત્રીજા નંબરે છે. ત્રણેય સેના પ્રમુખો સાથે પીએમ મોદીની અલગ-અલગ ૩૦ મિનિટ સુધી મુલાકાત કરી હતી.
અગ્નિપથ સૈન્ય ભરતી યોજનાની જાહેરાત ૧૪ જૂને થઈ હતી, ત્યારબાદ દેશના ઘણા રાજ્યોમાં યુવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અનેક જગ્યાએ ભીડ હિંસક બની અને ટ્રેનમાં આગ લગાવી દેવામાં આવી હતી. પીએમ મોદીની બેઠક પહેલા સેનાની ત્રણેય પાંખ એટલે કે આર્મી, વાયુસેના અને નૌસેનાએ અગ્નિપથ યોજના અને અગ્નિવીરોની ભરતી પ્રક્રિયાને લઈને એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન અધિકારીઓએ કહ્યુ કે સેના નોકરી માટે નહીં પરંતુ જુસ્સા માટે છે.
ભરતી પ્રક્રિયા વિશે આશંકાઓ વચ્ચે સૈન્ય મામલા વિભાગના એડિશનલ સચિવ લેફ્ટિનેન્ટ જનરલ અનિલ પુરીએ કહ્યુ કે, ભરતી પ્રક્રિયામાં ફેરફાર થશે નહીં અને સેનામાં પરંપરાગત રેજિમેન્ટની વ્યવસ્થા યથાવત રહેશે. સેનાની પત્રકાર પરિષદમાં પુરીએ કહ્યુ કે, આ યોજના સરકારના ઘણા વિભાગો વચ્ચે ચર્ચા સિવાય ત્રણેય સેવાઓ અને રક્ષામંત્રાલયની અંદર લાંબા સમય સુધી ચાલી રહેલ વિચારણાનું પરિણામ છે. તેમણે કહ્યું હતું કે આ એક ખુબ જરૂરી સુધારો છે.ss3kp