Western Times News

Gujarati News

સોનુ સૂદ દિલ્હીના ‘મેન્ટર કાર્યક્રમ’નો એમ્બેસેડર બન્યો

નવીદિલ્હી, કોરોનાકાળમાં લોકોની મદદ કરીને ચર્ચામાં આવેલો એક્ટર સોનુ સૂદે શુક્રવાર, ૨૭ ઓગસ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાત લીધી હતી. સોનુ સૂદ તથા અરવિંદ કેજરીવાલની મુલાકાત દરમિયાન દિલ્હીના નાયબ મુખ્યમંત્રી તથા એજ્યુકેશન મિનિસ્ટર મનીષ સિસોદિયા પણ હાજર રહ્યા હતા. આ મુલાકાત બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ સોનુ સૂદની સાથે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.

સોનુ સૂદને મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં બાળકો માટે દેશમાં મેન્ટર કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે અને આ મેન્ટર કાર્યક્રમનો બ્રાન્ડ એમ્બેસેડર સોનુ સૂદ છે. કેજરીવાલે કહ્યું હતું કે આજે તે પૂરા દેશ માટે પ્રેરણાસ્ત્રોત બની ગયો છે. આજે આટલી બધી સરકારો જે નથી કરી શકતી તે સોનુ સૂદ કરી રહ્યો છે. જે પણ સોનુ સૂદ પાસે મદદ માગે છે, તે તેની મદદ કરે છે. ગરીબ બેકગ્રાઉન્ડમાંથી આવેલા બાળકો ઘણું બધું કરવા માગે છે, પરંતુ તેમને ગાઇડ કરનારું કોઈ નથી.

વધુમાં તેમણે કહ્યું હતું કે આવા બાળકો માટે આપણે દેશમાં મેન્ટર કાર્યક્રમ શરૂ કરીશું. સોનુ સૂદ આ કાર્યક્રમ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે તૈયાર થઈ ગયો છે. સોનુ સૂદે દિલ્હીના એજ્યુકેશન મોડલના વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે તમે બાળકોને સારું શિક્ષણ તો આપી દેશો, પરંતુ તેમને યોગ્ય દિશા આપનારું પણ જાેઈએ. આ બાળકોને ગાઇડ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. વધુમાં સોનુએ કહ્યું હતું, અન્ય લોકોએ પણ બાળકોના મેન્ટર બનાવા માટે આગળ આવવું જાેઈએ.

પ્રેસ કોન્ફરન્સમાં સોનુ સૂદને પંજાબ ઇલેક્શન અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તો તરત જ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું, ‘કોઈ રાજકારણની વાતો થઈ નહોતી.’ તો સોનુએ જવાબ આપ્યો હતો કે આ (દેશના મેન્ટર) વાત તેનાથી પણ ઘણી જ મોટી છે. મને લાગે છે કે આનાથી બીજાે કોઈ મુદ્દો મોટો હોઈ શકે નહીં.’સોનુને પૂછવામાં આવ્યું કે તે રાજકારણમાં ઝંપલાવશે? તો તેણે કહ્યું હતું કે હાલમાં તેનો આવો કોઈ ઈરાદો નથી. સોનુએ કહ્યું હતું, ‘જે સારું કામ કરશે, તેની પાછળ-પાછળ આવી જશે.’ સોનુએ એમ પણ કહ્યું હતું કે લાંબા સમયથી રાજકીય પાર્ટીઓની ઑફર આવે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.