સોમનાથ તીર્થમાં ભગવાન શ્રી કૃષ્ણના નિજધામ ગમન દિવસની ભક્તિભાવ પૂર્વક આધ્યાત્મિક ઉજવણી

શ્રીકૃષ્ણ ચરણપાદુકા પૂજન, ગૌ-પુજન, ધ્વજા પૂજા, વૃક્ષારોપણ, ગીતા પાઠ, વિષ્ણુયાગ, સમુહ આરતી, બ્રહ્મ ભોજન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા-ચૈત્ર શુક્લ પ્રતિપદા એટલે કે એકમના દિવસે શ્રીકૃષ્ણ દેહોત્સર્ગ કરી સ્વધામ ગયાની શાસ્ત્રોકત કાલ ગણનાનું તારણ
સોમનાથ, સોમનાથ ક્ષેત્ર જપ અને તપની ભૂમિ છે. આ ભૂમિ પર દરેક ચિંતા થી મુક્તિ મળે છે. એટલે જગતગુરુ શ્રી કૃષ્ણએ પોતાના વૈકુંઠ મહાપ્રયાણ માટે આ પવિત્ર ભૂમિને પસંદ કરી હતી. ગોલોક ધામ એ જ પાવન ભૂમી છે. જ્યાં શ્રી કૃષ્ણની ચરણરજ આ દિવ્ય સ્થાન માં સમાયેલ છે. જેથી જ પ્રભાસની ભૂમીને હરિ-હર ભૂમી કહેવાય છે, જ્યા ભગવાન શિવ પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે અવતરીત થયા અને શ્રી કૃષ્ણએ સ્વધામ માટે આ ભૂમી પર થી પ્રયાણ કર્યું.
ગોલોક ધામ ભૂમી પર પરિવ્રાજક સ્વામી શ્રી જ્ઞાનાનંદ સરસ્વતીએ ચાતુર્માસ કરેલ અને આ પાવન ભૂમી ખાતે શ્રી કૃષ્ણના સ્વધામ ગમન દિવસની શાસ્ત્રોક્ત અને જ્યોતિષ દ્રષ્ટીએ કાલગણના કરી હતી. જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ એ ચૈત્ર શુક્લ પ્રતિપદા ના પાવન દિવસે બપોરના 2 કલાક 27 મીનીટ એને 30 સેકન્ડ ના સમયે પૃથ્વીલોક થી સ્વધામ ગમન કરેલ હતું.
આજરોજ આ પાવન દિવસે ગોલોકધામ દિન નીમીત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોલોકધામ ખાતે નુતન ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતું, શ્રીકૃષ્ણ ને પ્રિય એવી ગૌમાતા નુ પુજન કરવામાં આવ્યું હતું.
તેમજ બપોરના 2 કલાક 27 મીનીટ અને 30 સેકન્ડના સમયે ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વીલોક પરથી ગોલોકધામ ની ભૂમીથી સ્વધામ ગમન કરેલ એ જ ક્ષણે શ્રી કૃષ્ણની ચરણપાદુકાનું પુજન કરવામાં આવ્યું હતું, સાથે શંખનાદ, બાંસુરીવાદન જયઘોષ કરવામાં આવેલ આ ક્ષણે વાતાવરણ શ્રીકૃષ્ણના હરિ નામ રટણમાં લીન થયું હતું.
ગીતા મંદિર ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીના છાત્રો તેમજ સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા ગીતાજી પાઠ કરવામાં આવ્યા હતા. યજમાનશ્રી વેજાણંદભાઇ વાળા પરીવાર દ્વારા વિષ્ણુયાગ યજ્ઞ કરવામાં આવ્યો હતો. સાથેજ સંસ્કારભારતી દ્વારા ગોલોકધામ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ, સાંજે ભગવાન શ્રી કૃષ્ણની પાદુકાજીની મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા .
જેમા ટ્રસ્ટ પરિવાર તથા અધિકારીઓ કર્મચારીઓ, ભક્તો સહિત યજ્ઞ યજમાન શ્રી વેજાણંદભાઇ વાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા.