સ્કૂલો ખોલવાની ઉતાવળ નહીં કરાય, કોર્સમાં ઘટાડો કરાશે

ગાંધીનગર: શિક્ષકોના આંદોલન બાદ રાજ્ય સરકારે ગ્રેડ પેનો વિવાદિત પરિપત્ર રદ કર્યા છે. આ અંગેની જાહેરાત દરમિયાન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્કૂલો ફરી ક્યારથી શરૂ થશે અને વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શક્યા નથી ત્યારે તેમના અભ્યાસક્રમ કેવા પ્રકારનો ઘટાડો કરવામાં આવશે તે અંગે મહત્વની વાત કરી છે. ભૂપેન્દ્રસિંહ ચુસમાએ પત્રકારો સાથે વાત કરીને વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ અંગે મહત્વની વાત કરીને જણાવ્યું છે કે, કમિટીની રચના કરવામાં આવી છે જે સમયને ધ્યાનમાં રાખીને ૨૦% કે ૩૦% (જરૂર પ્રમાણે) કેટલો અભ્યાસક્રમ કમી કરવો તે અંગેનો નિર્ણય લેશે, મેં આ અંગે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે એવો અભ્યાસક્રમ રાખવાનો જે આગામી ધોરણમાં જતા ઉપયોગી થયા.
નવમા ધોરણમાં એવો જ અભ્યાસક્રમ રાખવાનો જે દસમા ધોરણમાં ઉપયોગી થાય. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણય અંગે વાત કરતા ચુડાસમાએ આગળ જણાવ્યું કે, કેળવણીકારો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિચર્સ એન્ડ ટ્રેનિંગ (જીસીઆરટી)ને આ અંગે કામગીરી સોંપીને નિષ્ણાંતોનો અભિપ્રાય મેળવીશું કે, કેટલા ટકા અભ્યાસક્રમમાં કામ મૂકવો. સ્કૂલો ફરી શરૂ કરવા માટે ઉતાવળ ના કરવી તેવી ચર્ચા ગઈકાલની ઓનલાઈન બેઠકમાં થઈ હતી. જે અંગે વાત કરતા ચુડાસમાએ કહ્યું કે, શાળા શરૂ કરવા માટે કોઈ ઉતાવળો નિર્ણય લેવામાં નહીં આવે. બેઠકમાં કેળવણીકારોએ સૂચનો કર્યો છે કે, શિક્ષણ રાજ્યમાં ફરી શરૂ કરવામાં આવે ત્યારે સૌથી પહેલા કાૅલેજ પછી ધોરણ-૧૦,૧૨ જે બાદ ૮-૯ અને તે પછી ૧થી ૭ ધોરણો એમ તબક્કાવાર શરૂઆત કરવામાં આવે.
તેમણે પત્રકારો સાથે વાત કરતી વખતે એકથી વધુ વખત જણાવ્યું કે, સ્કૂલો શરૂ કરવામાં જરાય ઉતાવળ કરવામાં નહીં આવે.
તેમણે એમ પણ જણાવ્યું કે, શાળા ખોલવાના નિર્ણય અંગે કેળવણીકારોની સાથે આરોગ્ય વિભાગનો પણ મત જાણવામાં આવશે અને તે પછી જ કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવશે. સ્કૂલો શરૂ થાય પછી પણ બાળકોનું હેલ્થ ચેકઅપ થઈ શકે તેવું કોઈ આયોજન કરીશું.