સ્વખર્ચ પેચવર્ક કરવા નીકળેલ કોંગ્રેસના આગેવાનોની પોલીસે અટકાયત કરતા કોંગ્રેસીઓની ચિમકી.

નેત્રંગ તાલુકા માંથી પસાર થતા માર્ગો ઉપર ખાડાઓનું પેચવર્ક કરી યુવા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો.
બે દિવસમાં સમારકામ નહિ તો તમામ રસ્તા કરાશે બ્લોક કરાશે.
(વિરલ રાણા) ભરૂચ,નેત્રંગ તાલુકા યુવા કોંગ્રેસ સમિતિ અનેક રજુઆત છતાં તાલુકામાંથી પસાર થતા બિસ્માર માર્ગોનું પેચવર્ક નહિ કરવામાં આવતા આજરોજ સ્વખર્ચ પેચવર્કની કામગીરી હાથ ધરી વિરોધ નોંધાવ્યો હતો.પોલીસે વિરોધ કરી રહેલા ૨૪ આગેવાનોની અટકાયત કરી હતી.
ભરૂચ જીલ્લામાં ચોમાસા દરમ્યાન ખાબકેલા ભારે વરસાદને પગલે નેશનલ હાઈવે નંબર ૪૮ સહિતના અત્યંત જરૂરી કહી શકાય તેવા સ્ટેટ હાઈવે અને શહેર તેમજ ગામડાઓના માર્ગો ધોવાઈ જતા બિસ્માર બન્યા છે.જેને પગલે અકસ્માતોની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે.
સાથે વાહન ચાલકોને ખાડાઓને લઈ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.ખાડાઓને પગલે ગુરુવારની રાતે નેત્રંગ-ડેડીયાપાડા માર્ગ ઉપર કૂપ ગામના બસ સ્ટેન્ડ નજીક એક પરિવારની કાર ખાડામાં પડ્યા બાદ ડેમના પાણીમાં ગરક થઇ જતા દંપતી સહીત ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.
આ ઘટના બાદ પણ તંત્ર દ્વારા માર્ગોનું પેચવર્ક નહિ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે અનેકવાર રજુઆત છતાં પણ માર્ગની મરામત નહીં કરાતા નેત્રંગ તાલુકા યુવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયેશ વસાવા,ઉપપ્રમુખ મોશિન પઠાણ અને આગેવાન શેરખાન પઠાણની આગેવાનીમાં સ્વખર્ચ પેચવર્ક કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
આ વિરોધ પ્રદર્શન કરી રહેલા ૨૪ જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.આ વિરોધ પ્રદર્શન કરી રહેલ આગેવાનોએ જો તંત્ર દ્વારા ૨ દિવસમાં પગલાં નહીં લેવામાં આવે તો જીલ્લાના તમામ માર્ગો બ્લોક કરવાની ચીમકી ઉચ્ચારી છે.