હત્યા કેસમાં આરોપી સુશીલ કુમારને કોર્ટે ૬ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/sushil-kumar-2-1-1024x569.jpg)
નવીદિલ્હી: બે વખત ઓલિમ્પિક મેડલ વિજેતા સ્ટાર રેસલર સુશીલ કુમારને કોર્ટે ૬ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. સુશીલ કુમાર પર દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં થયેલા ઝગડા બાદ સાગર કુમારની હત્યાનો આરોપ છે. મહત્વનું છે કે ૪ મેએ છત્રસાલ સ્ટેડિયમમાં સુશીલ કુમાર અને સાગર રાણાના જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં સાગર ઈજાગ્રસ્ત થયો અને ત્યારબાદ તેનું મોત થયુ હતું. તેની હત્યાનો આરોપ સુશીલ કુમાર પર લાગ્યો હતો.
૪ મેની ઘટના બાદ સુશીલ કુમાર ફરાર થઈ ગયો હતો. તેને શોધવા માટે દિલ્હી પોલીસે અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ સુશીલની માહિતી આપનારને ૧ લાખનું ઈનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. ૧૫ મેએ ઓલિમ્પિક ચેમ્પિયન વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી.
૪ મેની રાત્રે આશરે ૧૧ કલાકે દિલ્હીના મોડલ ટાઉનના એમ બ્લોકમાં કેટલાક લોકો એક ફ્લેટ પર પહોંચ્યા. રિપોર્ટ પ્રમાણે સાગર ધનખડ અને તેના સાથીઓને સુશીલના સાથીઓએ કિડનેપ કરી ગાડીમાં બેસાડી દીધા. પોલીસને પીડિતોએ જણાવ્યુ કે, સુશીલ નીચે કારમાં એક પિસ્તોલ લઈને બેઠો હતો. તે ગાડીને છત્રસાલ સ્ટેડિયમ લઈ જવામાં આવી. જ્યાં સુશીલના સાથીઓ અને સાગરના સાથીઓ સાથે મારપીટ કરી. આ લડાઈ બાદ સાગર અને તેના સાથીઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યા દેશના ઉભરતા યુવા રેસલર સાગરનું નિધન થયુ હતું. ત્યારબાદ આ ઘટનામાં સુશીલનું નામ સામે આવ્યુ હતુ.
સુશીલ છેલ્લા કેટલાક દિવસથી ફરાર હતો. ત્યારબાદ દિલ્હીની એક કોર્ટે તેને આજાેગતા જામીન આપવાની ના પાડી દીધી હતી. સુશીલે મંગળવારે રોહિણી જિલ્લાની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી આપી હતી, જેને કોર્ટે નકારી દીધી હતી.
રેસલર સાગર ધનખડની હત્યાના આરોપમાં નામ આવ્યા બાદ સુશીલ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસે તેની માહિતી આપનારને એક લાખ રૂપિયાના ઈનામની જાહેરાત પણ કરી હતી. ત્યારબાદ સુશીલે આગોતરા જામીન અરજી આપી હતી. ૧૫ મેએ સુશીલ વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. પાછલા સપ્તાહે દિલ્હી પોલીસે સુશીલ માટે લુકઆઉટ નોટિસ જારી કરી હતી.