હળવદ દુર્ઘટનામાં મૃતકોના અનાથ બાળકોને તાત્કાલીક સહાય યોજના મંજૂર કરી મંજૂરીપત્રો એનાયત કરાયા
(પ્રતિનિધી)હળવદ, મોરબી જીલ્લાના હળવદ GIDCમા બનેલ દુર્ઘટનામા ૧૨ શ્રમિકોના દુઃખદ અવસાન થયા હતા.જેમા પાંચ બાળકો અનાથ (માતા-પિતા બન્ને ગુમાવેલ) થયા હતા. જેના સંદર્ભે મોરબી જીલ્લા કલેક્ટર જે.બી. પટેલની રાહબરી હેઠળ સમગ્ર વહિવટી તંત્રએ સંવેદનશીલ અભિગમ દાખવીને શ્રમિકોના પરિવારજનો તેમજ અનાથ બાળકોને લાગુ પડતી તમામ યોજનાઓ અને સહાય ચૂકવવા માટે સુચના આપવામાં આવી હતી.
આ પ્રકારની દુઃખદ ઘટનામાં જીલ્લા વહિવટી તંત્રએ સંવેદનશીલતા દાખવીને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી દ્વારા પાલક માતા પિતા યોજના અંતર્ગત અનાથ થયેલા પાંચ બાળકોને તાત્કાલીક યોજના મંજૂર થાય તે માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપળીયા દ્વારા આ મુદ્દે ટોંચ અગ્રતા આપીને તાત્કાલીક સહાય મંજૂર થાય તે માટે જરૂરી આધારો સાથે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. જેની મંજૂરી મળતા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમા શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે સહાયના મંજૂરીપત્રો, બાળકોને શિક્ષણ કીટ એનાયત કરીને પરિવારજનોના દુઃખમા સહભાગી થયા હતા.
આ તકે મંત્રી બ્રીજેશ મેરજાએ જણાવ્યુ હતુ કે,દુર્ઘટનામા માતા-પિતાની છત્ર છાયા ગુમાવનાર બાળકોના પાલક માતા પિતા તરીકેની જવાબદારી સરકાર એ લીધી છે.
જેથી યોજના મુજબ દર મહિને ત્રણ હજાર બાળકોના ખાતામા ધનરાશી જમા કરાવવામા આવશે,વધુમા મંત્રી એ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી એ તેમની મુલાકાત વેળાએ પણ વહિવટી તંત્રને પરિવાર પ્રત્યે સંવેદના દાખવીને જરૂરી તમામ પ્રકારની સહાય આપવા માટે તાકીદ કરી હતી.રાજ્ય સરકાર પરિવારની પડખે જ છે અને પરિવારને આર્થિક અને સામાજિક હૂફના પરિપાક રૂપે રાજ્ય સરકારે તાત્કાલીક પાલક માતા પિતા અન્વયે સહાય મંજૂર કરી છે.
આ તકે મંત્રી બ્રિજેશ મેરજાએ સમગ્ર કામગીરી બદલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી અનીલાબેન પીપળીયા તેમજ સમગ્ર વહિવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
વધુમાં મંત્રી એ આ તકે પોતાની સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યુ હતુ કે, ભગવાન ક્યારેય કોઇની આવી કસોટી ન કરે,પરિવારના મોભી ગુમાવેલ બાળકો ભવિષ્યમા તેજસ્વી બને અને પોતાની શ્રેષ્ઠ કારકિર્દી બનાવે તેવી મંત્રી બ્રિજેશ મેરજાએ અભિલાષા વ્યક્ત કરી હતી.
પાલક માતા-પિતા યોજના અંતર્ગત આશાબેન ડાયાભાઇ ભરવાડ, ઊર્મિલાબેન ડાયાભાઇ ભરવાડ, હરિભાઇ ડાયાભાઇ ભરવાડ, પપ્પુભાઇ ડાયાભાઇ ભરવાડ અને લક્ષ્મી દિલીપભાઇ કોળીને મંજૂરી પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા.
આ યોજના અંતર્ગત લાભાર્થી બાળકના બેન્ક ખાતામા રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીની ઉમર ૧૮ વર્ષની થાય ત્યાં સુધી દર મહિને ત્રણ હજાર રૂપિયા જમા કરાવવામા આવશે.
આ તકે જીલ્લા કલેક્ટર જે.બી. પટેલ, અધિક કલેક્ટર એન.કે. મુછાર, હળવદ પ્રાંત અધિકારી એમ.એ. ઝાલા, હળવદ મામલતદાર એન.એ. ભાટી, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપળીયા તેમજ સ્થાનિક અગ્રણીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.