Western Times News

Gujarati News

૧૯ મી માર્ચ ૨૦૨૦ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો

Files Photo

બોપલમાં રહેતો દર્દી શરદી- ખાસીના લક્ષ્ણો સાથે અમદાવાદ સિવિલમાં પહોંચ્યો હતો

એક વર્ષના સમયગાળામાં O.P.D.માં ૫૫,૧૫૯ અને I.P.D.માં  ૨૧,૦૩૩ દર્દીઓની કરાયેલી તપાસ…૧,૮૩,૩૭૮ લોકોના કોરોનાના ટેસ્ટ-૧૮,૭૦૧ પોઝીટીવ

કોરોનાના સંકટ વચ્ચે કોવિડ ડેડીકેટેડ ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં ૧૨૦૦ ડોક્ટર-નર્સિંગ સ્ટાફ-સ્ફાઈ કર્મિઓ રાઉન્ડ ધ ક્લોક ફરજમાં સિવિલ હોસ્પિટલમાં તંત્ર ૨૪૭ ખડે પગે

કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરતા સિવિલ હોસ્પિટલના ૫૧૭ કોરોના યોદ્ધાઓ સંક્રમિત થયા બાદ પણ ફરજ પર ફર્યા

(અહેવાલ:- હિમાંશુ ઉપાઘ્યાય)  ૧૯ મી માર્ચ ૨૦૨૦નો એ દિવસ…જ્યારે અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં રહેતો ૨૭ વર્ષીય દર્દી  શરદી- ખાસી ના લક્ષ્ણો સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તપાસ અર્થે આવી પહોંચ્યો… લક્ષણો કંઇક અલગ જણાંઇ આવતા તબીબોએ આ દર્દીનો કોરોના  ટેસ્ટ કરાવ્યો જે પોઝટીવી આવતા સમગ્ર તંત્ર એલર્ટ થઇ ગયું.

અગાઉથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર અર્થે  તૈયાર કરાયેલ ડી-૯ કોરોના આઇસોલેશન વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો….ત્યાંથી શરૂ થયો અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના કામગીરીનો નવો અધ્યાય….

અમદાવાદમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થતા સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી ૧૨૦૦ બેડની હોસ્પિટલને ૭ મી એપ્રિલના રોજ કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. ક્રમશઃ કોરોના ના કેસ માં ઘટાડો થતાં આ હોસ્પિટલના ૭૦૦ બેડને મહિલાઓ અને બાળકોની સારવાર અર્થે પૂર્વવત્ કરવામાં આવ્યા હતા.હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ૫૦૦ બેડ કાર્યરત છે. આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓને અહીં દાખલ કરાયા છે.

આ દર્દીઓની સેવામાં ત્રણ પાળીમાં અંદાજે ૨૫૦ થી વધુ ડોકટર્સ, ૪૫૦ જેટલો નર્સિંગ સ્ટાફ તથા ૬૦૦ જેટલા સફાઈ કર્મિઓ મળી ૧૨૦૦ કર્મિઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે.  આ ઉપરાંત ૧૩૦ પેશન્ટ એટેન્ડન્ટ, ૬૦ નર્સિંગ સ્ટુડન્ટ્સ, ૧૨૦ સિક્યુરિટી સ્ટાફ, ૧૮ બાયો મિડેકલ એંજિનિયર્સ, ૨૦ પી.આર.ઓ., ૧૫ કાઉન્સિલર્સ, ૪૬ એક્સ-રે એન્ડ લેબ ટેકનિશિયન્સ, અને  ૧૫ ડ્રાઈવર મળી કુલ  ૧૭૨૫ યોધ્ધાઓ ૨૪*૭ ખડેપગે અને અવિરત સેવા બજાવે છે.

આ હોસ્પિટલના સુચારૂ સસંચાલન અંગે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.જે.પી.મોદી કહે છે કે,  “અત્યાર સુધીના ૧૨માસના સમયગાળામાં કોરોનાની ઓ.પી.ડીમાં ૫૫,૧૫૯ અને આઈ.પી.ડી.માં ૨૧,૦૩૩ દર્દીઓને તપાસવામાં આવ્યા છે. ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં અધ્યતન સારવારની સાથે અન્ય સેવાઓ પણ દર્દીઓને અપાઈ છે.

જે દર્દીઓ અતિં ગંભીર પરિસ્થિતીમાં અહીં આવ્યા છે અને જેમને ઓક્સિજનની જરૂર પડી છે તેવા દર્દીઓ માટે ૩૫૦ જેટલા વેન્ટિલેટર સહિતના બેડ અનામત રખાયા છે. આવા બેડ પર દાખલ થયેલા દર્દીઓ માટે  અત્યાર સુધીમાં ૨૬,૩૪,૩૬૬ ક્યુબિક મિ.મિ ઓક્સિજનનો વપરાશ થયો છે. જેની અંદાજિત કિ&મત રૂ. ૧૧ કરોડ જેટલી થાય છે, એમ ડૉ. મોદી ઉમેરે છે.

૧૨૦૦ બેડની હોસ્પિટલમાં તબીબો અને અન્ય સપોર્ટ સ્ટાફે દિવસ રાત- રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે. અત્યંત કપરી પરિસ્થિતીમાં પણ અહીં અવિરત સેવાનો ધોધ વહ્યો છે.  અહીં દર્દીઓની સારવાર ઉપરાંત કોરોનાના ટેસ્ટ પણ કરાયા છે. ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧,૮૩,૩૭૮ લોકોના ટેસ્ટ કરાયા છે જેમાંથી ૧૮,૭૦૧લોકો પોઝીટીવ જણાયા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર અર્થે અતિ ઉપયોગી એવા ટોસિલીઝુમેબ ઇન્જેકશનના વપરાશની વિગત જોઇએ તો ૮૦ મિલીગ્રામના ૮.૫ લાખના ખર્ચે ૧૦૦ ઇન્જેકશન, ૨૦૦ મિલીગ્રામ ૬ લાખના ખર્ચે ૩૦ ઇન્જેકશન, ૪૦૦ મિલીગ્રામના ૧.૬૭ કરોડના ખર્ચે ૪૧૯ ઇન્જેકશન અતિગંભીર સ્તરે પહોંચેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને આપવામાં આવ્યા છે. જ્યારે ૪.૫૭ કરોડના ખર્ચે ૧૬,૩૨૮ રેમડેસીવીર ઇન્જેકશન કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર અર્થે ઉપયોગમાં લેવામાં આવ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવા સુશ્રુષા કરતા-કરતા  ૫૧૭ મેડિકલ- પેરામેડિકલ સ્ટાફ કોરોના  સંક્રમિત થયા હતા.જેમાં ૭૦ સિનિયર તબીબો,૨૦૨ રેસિડેન્ટ તબીબો, ૫૬ ઇન્ટર્ન તબીબો અને ૧૮૯ નર્સિંગ સ્ટાફનો સમાવેશ થાય છે.

આ યોધ્ધાઓ,  નથી તેમના ઘરની ચિંતા કરતા કે નથી તેમના પરિવારની ચિંતા કરતા… એમને મન તો બસ કોરોના દર્દીઓની સેવા જ મુળ મંત્ર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં ખાસ “ ક્લીન રૂમ” કાર્યન્વિત કરાયો છે. જે પરિવારમાં માતા-પિતા બન્ને કોરોના પોઝીટીવ હોય અને તેમના નાના બાળકો હોય અને કોઈ રાખનાર કે સંભાળ લેનાર ન હોય તો તેવા બાળકોને અહીંનો નર્સીંગ સ્ટાફ “માતા” બનીને સાચવે છે.  આ  બાળકોને સેરેલેક પાવડરથી માંડીને જેં કંઈ જરૂરી હોય તે અપાય છે.  આ બાળકો માટે ખાસ  “એટેન્ડન્ટ” પણ રખાયા છે.

જે દર્દીઓ દાખલ થયા હોય ત્યાં દર્દીના કોઈ પણ સગાને ચેપ ન લાગે એટલે સલામતી માટે જ વોર્ડમાં  પ્રવેશ અપાતો  નથી…કોઈ ખાસ કિસ્સામાં જરૂર હોય કે દર્દીની લાગણી અને માંગણી હોયકે દર્દી વેન્ટીલેટર પર હોય કે પ્રોસીજર જરૂરી હોય  તેવા કિસ્સામાં એક સગાને રક્ષાત્મક સાધનો સાથે જવાની મંજૂરી અપાય છે

અને અન્ય કિસ્સાઓમાં નજીક એક વિશાળ ડોમ બનાવાયો છે ત્યાં તમામ સગાઓને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં પણ હોસ્પિટલનો સ્ટાફ તહેનાત કરાયો છે જેમને હોસ્પિટલ તરફથી મોબાઈલ અપાયા છે. જેના દ્વારા દર્દી તેમના સગા સાથે વિડીયો કોલીંગથી વાત કરી શકે છે… આ માટે ૫૦ જેટલા મોબાઈલની વ્યવસ્થા કરાઈ છે.

દર્દીઓની સેવા-સુશ્રુષા સ્વાસ્થ્ય સુવિધાઓમાં વધારો કરવા માટે તંત્ર દ્વારા અનેકવિધ પગલાઓ હાથ ધરવામાં આવ્યા છે. કોરોના ગ્રસ્ત દર્દીઓને ડાયાલિસિસ અર્થે બહાર ન જવું પડે તે માટે ઇન-હાઉસ ડાયાલિસિસ સેન્ટર, ઈન-હાઉસ  લેબ , સમગ્ર ભારતભરમાં શરૂ કરેલી પ્રથમ પ્લાઝમા બેંક, વયસ્ક દર્દીઓ માટે જીરિયાટ્રિક વોર્ડ, વોર રૂમની જેમ ૨૪ કલાક કાર્યરત કંટ્રોલરૂમ, હેલ્પ ડેસ્ક જેવી અનેક સ્વાસ્થ્ય સુવિધાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ રોગનું સંક્રમણ ન વધે તે માટે પ્રશાસન સતત કાર્યરત છે. આરોગ્ય વિભાગ દ્વારા “કોરોના યોધ્ધા બનો-ઘરે રહો, સુરક્ષિત રહો” ના ધ્યેયમંત્ર સાથે આ યોધ્ધાઓ ફરજ બજાવે છે. સલામ છે તેમના ધ્યેય, ધૈર્ય અને સંવેદનાના ધબકાર ને….


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.