૨૪ કલાકમાં ૧૦૦ દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક ૧,૫૫,૯૧૩એ પહોંચ્યો
નવીદિલ્હી: ભારતમાં કોરોના વેક્સીનને કાર્યક્રમનું પહેલું ચરણ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં લગભગ ૯૦ લાખ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. પરંતુ તેની સામે કોરોના સામે જંગ હારી જનારા લોકોની સંખ્યામાં ઘટાડો નથી થઈ રહ્યો. આ ઉપરાંત નવા સંક્રમિત લોકોની સંખ્યા પણ ફરી ૧૦ હજારથી ઉપર નોંધાઈ છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ ૮૯,૯૯,૨૩૦ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૧,૬૧૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૦૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૯,૩૭,૩૨૦ થઈ ગઈ છે.
કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૬ લાખ ૪૪ હજાર ૮૫૮ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૧,૮૩૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૩૬,૫૪૯ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૫,૯૧૩ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૬ ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ ૨૦,૭૯,૭૭,૨૨૯ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના ૨૪ કલાકમાં ૬,૪૪,૯૩૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતની વાત કરીએ તો, ૨૪ કલાકમાં અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, દાહોદ, ડાંગ, નર્મદા, નવસારી, પોરબંદર, સુરેન્દ્નરગર, વલસાડ એમ ૧૧ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યનો રિકવરી રેટ પણ સુધરીને ૯૭.૭૦ ટકા જેટલો પહોંચ્યો છે જ્યારે રાજ્યમાં અતત્યાર સુધીમાં ૨,૫૯,૬૫૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.ગુજરાતમાં ૨૪ કલાકમાં ૨૭૧ દર્દીઓ સાજા થયા છે
રાજ્યમાં હાલમાં કુલ ૧૬૯૯ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જ્યારે ૩૦ દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે કુલ ૧૬૬૯ દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં ૨,૫૯,૬૫૫ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં આજે કુલ ૧ દર્દીનું વધુ મોત થતા મૃત્યુનો આંક ૪૪૦૨ મૃત્યુ થયા છે.