૫૬ વિદ્યા સહાયકોને નોકરીના પાંચ વર્ષ પુરા થતા પૂર્ણ પગારના ઓર્ડર અપાયા
શાળામાં આવતા ભૂલકાઓનું શ્રેષ્ડ ઘડતર કરજો- જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પરમાર
આણંદ : આણંદ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓ ખાતે ફરજ બજાવતા ૫૪ અને નગર શિક્ષણ સમિતિ-આણંદ ખાતે ફરજ બજાવતા ૦૨ વિદ્યા સહાયકો મળી કુલ-૫૬ વિદ્યા સહાયકોને પાંચ વર્ષ પૂર્ણ થતા હોઇ આ તમામને ફુલ પગારના હુકમો સરકીટ હાઉસ-આણંદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પરમારના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં આણંદ તાલુકાના ૦૩, ઉમરેઠના ૧૦, બોરસદના ૧૬, આંકલાવના ૦૩, પેટલાદના ૦૪, સોજિત્રાના ૦૫, ખંભાતના ૧૦ અને તારાપુર તાલુકાના ૦૩ વિદ્યા સહાયકોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પરમારે સૌ શિક્ષકોને અભિનંદન આપતા જણાવ્યું કે આજે હું શિક્ષકોની સામે બેઠી છું એનો મને ગર્વ છે. આજે તમોને પાંચ વર્ષ પૂર્ણ થતા ફુલ પગારના ઓર્ડર આપવામાં આવ્યા છે, ત્યારે તમારા માટે ખુશીનો દિવસ છે. બસ હું એટલું જ કહીશ કે ગામડાઓના ભૂલકાઓને સંસ્કાર સાથેનું સારૂ શિક્ષણ આપજો અને શ્રેષ્ડ ઘડતર કરજો જેથી તે બાળકો મોટા થઇ શિક્ષક, ર્ડાકટર કે એન્જીનિયર બની શ્રેષ્ડ ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે.
જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી પિન્કીબેન ઠાકોરે શાળાએ આવતા ભૂલકાઓ ગરીબ હોય કે પૈસાદાર, હોંશિયાર હોય કે નબળા એક સરખું ધ્યાન આપી તમામને સરખો ન્યાય આપી ભણાવવા અનુરોધ કરી સૌને અભિનંદન આપ્યા હતા. પ્રારંભમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નિવેદીતા ચૌધરીએ સૌનો આવકાર્યા હતા.
તમામ શિક્ષકોને બાળકોને વધુ સારૂ શિક્ષણ આપવા અનુરોધ કરી સૌ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે નગર શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી ઇન્દ્રજીતભાઇ પટેલ, ક્રિષ્ણકાંત શાહ, નગર શાસનાધિકારી તેજેન્દ્રસિંહ સોલંકી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સંજયભાઇ પટેલ, જિલ્લા હિસાબી અધિકારીશ્રી ભાવિનભાઇ પટેલ અને શિક્ષકો ઉપસ્થિત રહયાં હતા.